આપણે અહીં શા માટે ?
ઉપરના શીર્ષકમાં સમાયેલો પ્રશ્ન એક બહોળા માનવ-સમાજને આવરી લે છે. એ કારણથી આ શિર્ષકના શબ્દોનું અનુસંધાન સમજી લઈએ તો આખા લેખમાં સમાયેલો ગૂઢાર્થ સમજવામાં સરળતા થશે.
અહીં ‘આપણે’ શબ્દ સમગ્ર માનવજાતને સ્પર્શે છે. ‘અહીં’ શબ્દ આખી પૃથ્વીને આવરી લે છે. અને ‘શા માટે ?’ એ પ્રશ્ન પ્રત્યેક જન્મનું કારણ, પ્રત્યેક જન્મમાં જીવનનો ઉદ્દેશ શું છે એ અંગેની માહિતી માંગે છે. આ રીતે દુનિયાના કોઈ પણ દેશમાં રહેતા માનવ સમાજના લોકો માટે આ પ્રશ્ન બહુ અર્થપૂર્ણ બની રહે છે કે “આપણે અહીં શા માટે ?” એ સનાતન સત્ય છે કે માનવ જીવનની સફર જન્મ થી મરણ સુધીની છે. આપણે સહુ આપણી એક માર્યાદિત સમયની જીવનદોરી લઈને જન્મ લઈએ છીએ. જીવનકાળ દરમ્યાન વયને અનુરૂપ બુદ્ધિમત્તતા, સમજણશક્તિ, કાર્યક્ષમતા અને પ્રગતિ જેવા જીવનના પાયાના એકમોને વિકસાવતાં આપણે આગળ વધીએ છીએ અને એ સાથે મોટા થતાં, થતાં અલગ, અલગ ઊંચાઈના સ્તરે પહોંચીએ છીએ.
જેમ જેમ આપણે ઊંડાણમાં ઉતરતા જઈએ તેમ આ વિષય ‘આપણી’ (આપણી પોતાની) વિસ્તરિત ઓળખાણ મેળવવા આપણને પ્રેરે છે. જન્મ પહેલાં આપણું અસ્તિત્વ અજાણ અને અકથ્ય હતું. જન્મ પછી આપણને જે નામ મળે છે તે આપણા છેલ્લા શ્વાસ સુધી આપણી ઓળખ, આપણી પહેચાન બની રહે છે. પણ અહીં એ વાતની સ્પષ્ટતા કરવાની જરૂરી છે કે એ નામ આપણા ‘શરીર’નું છે. અને આ વિચાર થોડો આગળ વધારીએ તો એ હકીકત પણ સમજાય છે કે ‘આપણે’ શબ્દ આપણા આત્માની ઓળખ નથી આપતો, પણ આત્મા જે શરીરમાં આરૂઢ થયેલો છે એ શરીરની ઓળખ આપે છે. મરણ વખતે આપણું શરીર અગ્નિ સંસ્કારમાં બળીને ભસ્મ થઇ જશે પણ એ પહેલાં આપણામાં રહેલો આત્મા પોતાની આગળ ઉપરની મુસાફરી શરુ કરવા બળીને ભસ્મ થઇ ગયેલા શરીરને છોડી ગયો હશે. આત્મા ‘રથી’ (સારથી) છે જે શરીર રૂપી રથને જીવન દરમ્યાન એના કર્મ-ક્ષેત્રમાં કાર્યરત કરતો રહે છે. મરણ પછી આત્મા છોડી ગયેલા શરીરને આ જ કારણથી અર્થી (અ-રથી) કહેવામાં આવે છે કે શરીર રૂપી રથ ચલાવનારો સારથી એ રથ છોડીને અલગ થઇ ગયો છે. આ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આપણે સહુ – પૃથ્વી ઉપરનો દરેક જીવ મર્યાદિત સમય માટેનું જીવન લઈને આવે છે અને એ જીવની અંદર રહેલો આત્મા જ્યારે શરીર છોડી જાય છે ત્યારે એ જીવ પૃથ્વી ઉપરની એની શારીરિક યાત્રા પૂરી કરે છે. પ્રત્યેક સદેહી માનવી સમૂહમાં રહીને સમાજ બનાવે છે. સમાજનો દરેક માનવ પોતાના સમૂહની ઓળખાણ “આપણે’ શબ્દથી આપતો હોય છે કારણ કે પ્રત્યેક વ્યક્તિ સમાજનું એક અવિભાજ્ય અંગ બની રહ્યો હોય છે.
હવે આપણે ‘અહીં’ શબ્દનું મહત્વ સમજીએ. આપણે જ્યાં જન્મ લઈએ છીએ એ ભૂમિ આપણી ‘જન્મભૂમિ’ બની જાય છે. ઈશ્વરે સૃષ્ટિની રચના કરી તેમાં અગણિત દેશો, સમુદ્રો, પર્વતો, નદીઓનો સમાવેશ થયેલો છે. સમગ્ર દુનિયાના ૭૦ ટકા ભાગમાં માઈલો સુધી પ્રસરેલા વિસ્તારમાં સમુદ્રો જેવા બહોળા અને ઊંડાં જળાશયો પથરાયેલા પડ્યા છે. જમીન માત્ર ૩૦ ટકા જેટલા ભાગમાં જ વિસ્તરેલી છે. સૃષ્ટિના આ ૩૦ ટકા જેટલા વિસ્તારની પૃથ્વી ઉપર જ માનવ વસતીનું અસ્તિત્વ છે. જો કે દુનિયામાં ૮-૧૦ દેશો એવા છે જ્યાં લોકો નદી, અને સમુદ્ર પાસેના મોટા જળાશયોમાં નૌકાઓ ઉપર નાનકડાં ઘરો બનાવીને રહે છે. પણ આવી વસ્તીઓ દુનિયાની વસતીની સરખામણીમાં નહીવત છે. છતાં સમગ્ર દુનિયામાં વસેલા માણસોની ગણતરી કરીએ તો કેટલા ય કરોડોની થાય. દુનિયાના કોઈ પણ દેશની ધરતી ઉપર જન્મેલી, રહેલી અને સ્થાયી થયેલી વ્યક્તિ એ જગ્યાનો નિર્દેશ આપીને વર્ણવી શકે કે “અમે ‘અહીં’ રહીએ છીએ.” દરેક દેશમાં વસેલા માનવીઓ ઈશ્વર રચિત ‘જન્મ-જીવન-મૃત્યુ’ ના જન્મક્રમને - ‘life cycle’ ને અનુસરતા હોય છે. દરેક વ્યક્તિના જીવનની દિશા અંતે તો મૃત્યુ તરફ જ લઇ જતી હોય છે. પણ સમગ્ર જીવનનો ઉદ્દેશ તો આપણને પોતાને સાચા અર્થમાં ઓળખવાનો હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે સાચા અર્થમાં પોતાને ઓળખવું, એટલે, હું “ કોણ છું” એ સત્યને જાણવું . “આધ્યાત્મિક સફરમાં ઊંચાઈએ પહોંચેલા સાધકોને એ વાતનું જ્ઞાન સતત રહે છે કે એક વાર આપણને પોતાને સાચા અર્થમાં જાણી અને સમજી લીધા પછી ઈશ્વરને ઓળખવાનું અશક્ય નથી. કારણ કે ‘અદ્વૈત વેદાંત’ ના માર્ગે આગળ વધેલા સાધકો શાસ્ત્રો દ્વારા એ જ્ઞાન તો મેળવી જ ચૂક્યા હોય છે કે “હું પોતે જ ઈશ્વર છું” - બૃહદારણક્ય ઉપનીષદનું એક મહાવાક્ય સમજાવે છે કે “अहम् ब्रह्मास्मि”. એ જ્ઞાન થયા પછી એની પ્રત્યક્ષ અનુભૂતિ કરવામાં જ જીવનકાળનો મહદ સમય નીકળી જતો હોય છે. હકીકતમાં આ અનુભૂતિ થવામાં એક નહીં પણ ઘણા જન્મો નીકળી જતા હોય છે. અનુભવીઓ સાધકોના સ્વાનુભવ મુજબ: “હરીનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ”. પોતાનું સમૂળગું જીવન આધ્યાત્મ માર્ગે વાળી ચૂકેલા સાધકો માટે ‘મોક્ષ’ અથવા ‘ઈશ્વર પ્રાપ્તિ જ જીવનનો મૂળભૂત ઉદ્દેશ હોય છે.
‘આધ્યાત્મની કેડીએ’ (Spiritual Antidotes) ની શ્રેણીમાં સમાવેશ કરેલા આ લેખનું શીર્ષક છે : “આપણે અહીં શા માટે ?”
પ્રશ્નાત્મક શીર્ષકના આ ત્રણ શબ્દો માં ના પહેલાં બે શબ્દો: ‘આપણે’ અને ‘અહીં’ નું વિશ્લેષણ ઉપર આપણે કરી લીધું. હવે
જીવનના મૂળભૂત ઉદ્દેશની વાત આવી છે તો એ સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે કે સંસારિક લોકોમાં અને આધ્યાત્મિક માર્ગે ચાલી રહેલા સાધુ-સંતો માટે જીવનના ઉદ્દેશ અંગેની સમજ વ્યવહારિક જીવનમાં અલગ છે. સાંસારિક લોકો ઉપર કુટુંબની, એમના ભરણ-પોષણની, એમના માથે છત્ર રહે એ દ્રષ્ટિથી ઘર વસાવવાની જરૂર હોય છે, બાળકોને મોટા કરીને ભણાવી-ગણાવીને કામ-ધંધે લગાડીને, એમને એમના પરિવારમાં સ્થાયી કરવાની ફરજ હોય છે. અને આ બધા ખર્ચને પહોંચી વળવા માટે આવક ઊભી કરીને બચત કરવાની જરૂર હોય છે. તો સમાજમાં, સંસારમાં રહેલા લોકો માટે જીવનનો ઉદ્દેશ કૌટુંબિક જવાબદારી, આજીવિકા, કુટુંબનું સંરક્ષણ અને એમને સ્થાયી કરવાનો હોય છે. આ કારણથી મહદ્દ અંશે સામાજિક અને સંસારિક જીવન જીવતા લોકો માટે સંસાર છોડીને સાધુ-સંતોના માર્ગે જીવન-સફરને વળાંક આપવો એ લગભગ અશક્ય બની જતો હોય છે. છતાં જીવનનું અંતિમ ધ્યેય મોક્ષ અને ઈશ્વરપ્રાપ્તિ છે એ સત્યને નકારી શકાતું નથી. કદાચ આવા જ કારણથી એમ કહેવાયું હશે કે ઈશ્વર પ્રાપ્તિ પહેલાં મનુષ્યે ૮૪ લાખ યોનીઓમાં થી પસાર થવું પડે છે. સંસારીઓને કેટલાય જન્મોના સંસ્કાર સાંસારિક અને કૌટુંબિક જીવન વ્યવસ્થામાં થી જ મળેલા હોય છે. સંસાર અને કૌટુંબિક જીવનના રસ્તાઓ ઉપર માતા-પિતા, ભાઈ-બહેન તેમ જ અન્ય કુટુંબીજનો સાથે ચાલવાનું હોય છે, માર્ગમાં સાથે ચાલનારા યાત્રીઓને મદદરૂપ થતાં, એક-બીજાની સેવા કરતાં ચાલવાનું હોય છે. અને અગણિત જન્મોથી માનવજાતના બહુ જ બહોળા સમાજ સાથે આપણે ચાલતાં આવ્યા છીએ. આ કારણથી આધ્યાત્મિક માર્ગની મુસાફરી આપણને કાંટા ભર્યા રસ્તાઓ જેવી લાગતી હોય છે. કારણકે ઈશ્વરને માર્ગે પોતાના જીવનને સમર્પિત કરનાર સાધકને આખી જિંદગી એકલા જ ચાલવાનું હોય છે. આ રસ્તે સફર શરુ કર્યા પછી અને શાસ્ત્રો, પૂરાણો, સંસ્કૃત, વેદો, ઉપનીષદો, ભગવદ ગીતા અને અદ્વૈત વેદાંત, વગેરેને વાંચીને, સમજીને અને પચાવીને, આ બધા જ્ઞાનને જીવનમાં ઉતારવાના હોય છે. માત્ર ૨-૪ જન્મોમાં જ જીવનના અંતિમ ધ્યેય સુધી પહોંચી જવાય એવી આ સફર નથી. જનમો જનમ સંસારના રસ્તાઓ ઉપર ચાલ્યા પછી જે મોડ ઉપર આધ્યાત્મિક માર્ગે જવાનો રસ્તો ફંટાય છે ત્યાં કેટલાય પ્રલોભનો, મુશ્કેલીઓ અને સમસ્યાઓ યાત્રીને પાછા સંસારના રસ્તાઓ ઉપર વળી જવા પ્રેરે છે. પણ જે સાધક, જે મુમુક્ષુ સાચા અર્થમાં ઈશ્વરને – સત્યને મેળવવા કટિબદ્ધ હોય છે તે જ આધ્યાત્મિક માગે આગળ વધી શકે છે. આ કારણ છે કે મનુષ્યે ઈશ્વર-પ્રાપ્તિ પહેલાં ૮૪ લાખ યોનીઓમાંથી પસાર થવું પડે છે.
આપણામાંના મોટા ભાગના લોકો આખી જિંદગી સામાન્ય જીવનના રસ્તાઓ ઉપર ચાલતા રહીને ‘જીવી જતા’ હોઈએ છીએ. રોજીંદા જીવનમાં રહેલી જવાબદારીઓને નિભાવતાં, અભ્યાસ, નોકરી-ધંધો, રોજગારી, લગ્ન, ગૃહસ્થાશ્રમ, વૃધ્ધાશ્રમ અને અંતિમ વિદાય- જેવા ક્રમમાંથી પસાર થઈને જીવન પૂરું કરતાં હોઈએ છીએ. અહીં અનુપમ જલોટાએ અને એમના પિતા સ્વ. પુરુષોત્તમ જલોટાએ ગાયેલું ભજન યાદ આવે છે: “जनम तेरा बातोंमें बीत गयो, पर तूने अज हु ना कृष्ण कह्यो”. આ સુંદર ભજનમાં માનવ જીવન માટે એક ગૂઢ સંદેશ રહેલો છે, જે સમજાવે છે કે સંસારની જવાબદારીઓ નિભાવતાં રહીને, સાથે આધ્યાત્મની કેડી ઉપર પણ પગ માંડતા રહેવું જરૂરી છે. ઈશ્વરને જાણવું, સમજી શકવું એ સહેલું કાર્ય નથી. જેણે આપણને મહામૂલો મનુષ્ય જન્મ આપીને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે એ ઈશ્વરને પણ આપણા રોજીંદા જીવનમાં સામેલ કરવા જરૂરી છે.
તો “આપણે અહીં શા માટે” એ લેખ અહીં સુધી વાંચીને સમજ્યા પછી આપણને એ ખ્યાલ આવે છે કે આપણે મુખ્યત્વે પૃથ્વી ઉપર એ કારણથી છીએ કે આપણને આપણું જીવન જીવવાની સાથો સાથ ઈશ્વરનું મહત્વ સમજીને એમને સમજવાની, એમને ઓળખવાની, અને એમના આશીર્વાદ મેળવવાની જરૂર છે, એમના બતાવેલા માર્ગ ઉપર ચાલવાની જરૂર છે. આધ્યાત્મિક ગ્રંથો, પુરાણો, શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા, વગેરેમાંથી ઈશ્વરની મહિમા, એમનું મહાત્મ્ય, તેમ જ સાત્વિક ગુણ-ધર્મો જીવનમાં ઉતારવાની જરૂર છે. આ બધું સમગ્ર સમાજને જ્ઞાન અને નીતિબોધ પહોંચાડી શકે એવી સામગ્રી પૂરી પાડે છે.
કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રી કૃષ્ણએ શોક અને હતાશામાં સપડાયેલા અર્જુનને ધર્મની રક્ષા માટે શ્રીમદ ભગવદ ગીતા દ્વારા જે જ્ઞાનગંગા કહી સંભળાવી તેને માટે પણ થોડી ચર્ચા કરી લઈએ. ભગવદ ગીતામાં ઈશ્વરે આપેલો ગૂઢ સંદેશ માત્ર હિન્દુ સમાજને જ નહીં પણ પૃથ્ચી ઉપર વસતા સમગ્ર માનવ સમાજ ને માટે સાંભળવા, સમજવા અને જીવનમાં ઉતારવા લાયક છે. જેમનું આખું જીવન ‘ગીતામય’ હોય એમને માટે જીવનમાં એવી કોઈ જ સમસ્યા રહેતી નથી જેમનું નિરાકરણ તેઓ પોતે ન કાઢી શકે. એમને માટે સંસારમાં અને પૃથ્વી ઉપર જે કંઇ થઇ રહ્યું છે તે ઈશ્વરની મરજીથી જ થઇ રહ્યું હોય છે કારણકે દરેક ઘટના પાછળ કોઈ ને કોઈ ઈશ્વરી સંકેત, કોઈક ઉદ્દેશ છૂપાયેલો હોય છે, જે આપણી સમજશક્તિની બહાર હોય છે. ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધામાં ડૂબેલા લોકો તો એટલે સુધી માને છે કે “એમની (ઈશ્વરની) ઈચ્છા વગર કોઈ જ ઘટના આકાર લેતી નથી”.
શ્રીમદ ભગવદ ગીતામાં જણાવ્યા મુજબ જીવનનું અંતિમ સત્ય ઈશ્વર-પ્રાપ્તિ છે. ઈશ્વર જ ‘સત” એટલે પરમ સત્ય છે, એમના સિવાય દુનિયાના સઘળા જડ અને ચેતન પદાર્થો ‘અસત’ છે. જે સત્ય છે તે શાશ્વત છે, જેનો કદી નાશ નથી; એ સિવાયના બાકીના બધા પ્રાણીઓ, પદાર્થો નાશવંત છે, જેમનું કાયમી અસ્તિત્વ નથી. જનમો જન્મથી આપણે સહુ, મોહ, માયા, કામ, ક્રોધ, લોભ, અને મોહ ની જાળમાં ફસાઈને અને આ વડે ઉત્પન્ન થયેલા અજ્ઞાનમાં ભૂલા પડીને નાશવંત જીવન અને પદાર્થો પાછળ દોડી રહ્યા છીએ. અગણિત જન્મોથી આપણા આત્મા ફરતે લપેટાતા જતા અજ્ઞાનના પડળો એટલાં ગાઢ છે કે આત્માનો સાચો સ્વભાવ, આત્માના અસલ ગુણ-ધર્મો વગરેથી આપણે બહુ દૂર અને અજાણ થઇ ગયા છીએ. સંસારના સુખોની શોધમાં, ધન, પદાર્થો , એમનાથી આકાર લેતાં પ્રલોભનો અને એમનો સંગ આપણને પાછા સાચા રસ્તે લાવવા માં બાધારૂપ બને છે.
આ લેખને અહીં વિરામ આપું એ પહેલાં ઈશ્વર મને હજુ આગળ વધીને એના બીજા એક-બે સંદેશ આપ સહુને પહોંચાડવાની પ્રેરણા આપી રહ્યો છે. એ સંદેશ મુજબ ઈશ્વરને જાણવા અને મેળવવા માત્ર ભગવદ ગીતા અથવા શાસ્ત્રો માં નિપુણ થવાને બદલે, સર્વ પ્રથમ આપણે જીવનમાં ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ – એ ત્રણેમાં સમતા રાખીને અંતીમ ઉદ્દેશ તરફ આગળ વધતા રહેવાનું છે.
એ ઉપરાંત માત્ર ઈશ્વરની ભાવ-ભક્તિ કરીને સંતોષ પામીને બેસી રહેવાને બદલે આપણી સાથે જેઓ ચાલી રહ્યા છે, એમાંથી જેઓ તકલીફમાં છે, જેઓ પોતે ચાલી નથી શકતા, એમને હાથ પકડીને, બેઠા કરીને, એમના રસ્તે મૂકવાના છે, જેમને મદદ કરનારું કોઈ નથી એવા અસહાય લોકોની સેવા પણ કરવાની છે. કારણકે “મનુષ્ય સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે.”
જ્યાં સુધી આપણે સાંસારિક જીવનના સંસ્કારો, પ્રલોભનો, અજ્ઞાન થી ઉત્પન્ન થતાં અવગુણો વગેરે ઉપર કાબુ નહીં મેળવી શકીશું, જ્યાં સુધી ઉપર ટાંકેલા ઈશ્વર-પ્રેરિત આચરણોને આપણા જીવનમાં નહીં ઉતારીશું, ત્યાં સુધી આપણે આ પ્રશ્ન પૂછતા જ રહીશું કે “આપણે અહીં શા માટે?” કારણ કે દરેક જન્મમાં આપણે ભક્તિમય, કર્મ-બદ્ધ, ભક્તિભાવ યુક્ત અને સાત્વિક જીવન જીવતાં જીવતાં, વધુ અને વધુ ઊંચાઈ પ્રાપ્ત કરતાં જવાનું છે. ઈશ્વર આપણને એ પયગામ પહોંચાડવા ઈચ્છે છે કે "તમે પૃથ્વી ઉપર માત્ર તમારે માટે જ નથી આવ્યા, તમારા જીવન સાથે બીજા ઘણા લોકો સંકળાયેલા છે જેમને પણ તમારે ઉપર લાવવાના છે અને એમના ઉદ્દેશ તરફની સફરમાં એમને સાથ આપવાનો છે."
અસ્તુ .
આજની પ્રાર્થના – રામનવમી, વિક્રમ સંવત ૨૦૭૭ ના શુભ દિવસની
પ્રથમ, આપણે યજુર્વેદના શાંતિપાઠ થી આપણી પહેલી પ્રાર્થના બોલી લઈએ. જેથી આપણી આસપાસ શાંતિના આંદોલનો વહેતાં થાય . પૃથ્વી ઉપર રહેતાં સમસ્ત માનવ સમુદાયના પ્રજાજનો આ પ્રાર્થના નું ઉચ્ચારણ કરતાં જાય તો પૃથ્વી ઉપરના બધા દેશોમાં સાત્વિક શાંતિ ના પ્રચંડ આંદોલનો વહેતાં થાય, જે હાલના સમયમાં અતિ આવશ્યક છે:
અમે કિનારે બેઠા,
તો’ય તરસ્યા
અમે જન્મતા ગયા, અનુભવ, જ્ઞાનની નદીઓમાં ઉતરતા રહ્યા
મારી ડૂબકીઓ, ક્યાંક છીછરા, ક્યાંક ઊંડા પાણીઓમાં તરતા રહ્યા
તરેલી નદીઓમાં થાક્યા હતાં તો ય હર જન્મમાં કિનારાઓ મળતા રહ્યા
મરણ પછીનો વિરામ કરી, અનેકો જન્મોમાં ફરી, ફરી આવતાં રહ્યાં
राम नाम सत्य है
જેમને આજ સુધી કોઈ દિવસ ઈશ્વરનું નામ લેવાનો અવસર નહીં આવ્યો હોય એમણે પણ એમના જીવન દરમ્યાન ‘राम नाम सत्य है’, એ શબ્દો સાંભળ્યા તો હશે જ. એમણે પોતે 'રામ' નું નામ નહીં લીધું હોય તો પણ કદીક ઘરની ખુલ્લી બારીમાંથી, બહાર રસ્તા પરથી જતી સ્મશાનયાત્રામાં લયબદ્ધ બોલાતા શબ્દોનો અવાજ જરૂર એમના કાન સુધી પંહોંચ્યો હશે.
આત્માનો સાક્ષી ભાવ
આપણી યાદદાસ્તને આપણે આપણા અતીતમાં લઇ જવા ઈચ્છીએ તો વધુ માં વધુ આપણા બાળપણ સુધી જ આપણે પંહોચી શકીએ જયારે આપણે સમજતા થયા હતા. એનાથી પહેલાંનું કંઈ યાદ કરવું હોય જેવું કે આપણે ચાલતાં ક્યારે થયેલા,
‘ઈશ્વરનો ફોન આવ્યો’
અસલના વખતમાં રાજાઓ 'પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે?' એ જાણવા માટે છૂપા વેશે લોકોની વચ્ચે ફરતા. પોતાના રાજા માટે, એની કાર્યક્ષમતા માટે; લોકોની સલામતી, કાયદા-કાનૂનની વ્યવસ્થા, અને પ્રજાના હિત માટે રાજા કેટલા સજાગ અને સક્ષમ છે એ અંગે પોતાની પ્રજા કેવા અભિપ્રાય ધરાવે છે એનો અંદાજ મેળવતા.
{{commentsModel.comment}}