‘ધાગા લોહીના કાચા – નાતા પ્રીતના સાચા’
નવલકથા ની ઓળખ
લેખક હરીશ પંચાલ ‘હૃદય’
લાગણી ઝંખતાં હૈયાંઓને એક-બીજાથી આવો આપણે જોડતાં જઈએ,
ઘટતું હોય એકમાં તેને બીજા ઊભરાતાં હૈયાંમાં થી સરભર કરતાં જઈએ.
ક્યાંક કોઈની આંખો વહાવે દુ:ખના આંસુ, તો ક્યાંક કોઈની આંખોથી નીતરે લાગણીઓનાં પૂર .
કોઈના ખાલી હૃદયે વસે ખોવાયેલાઓની અધૂરપ, તો કોઈક પાત્રો શોધે વહેંચવાને હૈયે ઉમડતી પ્રીત.
અતડા કોઈક હૈયાંઓમાં લાગણીની ઊણપ, તો દેવાને કોઈના હૈયે આનંદ છલકે જેવી દાનવીરોની રીત.
કોઈ ગુસ્સાની આગમાં લાગણી ભર્યાં સ્વજનો ત્યજે, તો કોઈ ત્યજાયેલાંઓને સ્થાયી કરવાનો ભેખ લઇને જીવે
પાયા વગરના બેફામ ક્રોધથી કોઈ વિસારે સાન-ભાન, તો કોઈ દુ:ખોના દરિયા પીને પણ વહેંચે પ્રીતના દાન.
ઈશ્વરની દુનિયા છે આ, એકમાં જે હોય ઘટતું, સરભર એને કરવા કાજે પૃથ્વી પર એ મોકલે પોતાના કોઈ સંત કે સાધુ.
લાગણી વિહોણા ખોળિયાંઓ લઈને અહીં જીવે છે ઘણા, આવો આપણે ખોજીએ કોઈ દાનેશ્વરીનાં પ્રીત ઉભરતાં હૈયાં,
જે લોહીના સંબંધોથી પણ ઉપર જઈને, નિર્મળ લાગણીનાં નીર પાઈને, નિર્લેપ હૈયે જન્મો જનમની પ્યાસ બુઝાવે.
કેટલાંય જન્મોથી તલસી રહેલાં સુખ, શાંતિ અને સંતોષ શોધતાં રહેલાં આપણા હૈયાંની અધૂરપ થી હારીને,
જીવન સાગરના કિનારે બેઠા હોઈશું, ત્યારે કોઈક વિરક્ત આત્મા આવીને ઝાલશે આપણો હાથ, પછી લઇ જશે
અને કહેશે, “તેં અનુભવ્યું ને, - ધાગા લોહીના હોય કાચા, તો ચાલ હવે જોડી લઈએ નાતા પ્રીતના, જે રહેશે સાચા.”
અને ત્યારે આપણને જે સમજાશે તે માત્ર ‘શબ્દાર્થ’ નહીં, પણ જીવનનો ‘તત્વાર્થ’: “ધાગા લોહીના કાચા – નાતા પ્રીતના સાચા”.
તો ચાલો, આપણે આ નવલકથાના જીવંત પાત્રોના જીવનમાંથી વહેતી સંવેદનાઓને ઝીલતા જઈએ, હૃદયમાં ઉતારતા જઈએ.
પ્રેમથી કટુતાને ત્યજતા જઈએ, લાગણીઓથી ક્રોધને જીતતા જઈએ અને માનવસંબંધોમાં પ્રીતની જ્યોત જગાવતા જઈએ .
આવનારા જન્મોમાં, જીવનના કોઈ મોડ ઉપર ભેગા મળીશું ત્યારે આપણા હૈયાં એકબીજાના પહેચાની લેશે ,
અને ચહેરે સ્મિત લાવીને પરસ્પરને કહેશે: “આપણા તો નાતા રહ્યા છે પ્રીતના, એમને તાજાં કરીએ”
માનવ સંબંધોમાં દરેક સંબંધનું એક વિશેષ મહત્વ છે અને બધા સંબંધોને એમના મહત્વ પ્રમાણે લાગણીથી જાળવવાના હોય છે. જુવાનીના જોશમાં અને પોતાનું ધાર્યું નહીં થતાં એક અણસમજુ યુવાન અવિચારી વર્તનમાં લોહીના સંબંધો તોડીને ચાલી જાય છે,
ત્યારે માતા-પિતાના જીવનમાં એક ગાઢો અંધકાર છવાઈ જાય છે. તેઓ સંતાનના વિરહના ઊંડા આઘાતમાં આ દુનિયા છોડી જાય છે, પણ પાછળ રહી ગયેલી એની બાળસખા, વિરહની અગ્નિમાં દાઝી હોવા છતાં એક અનુકંપાભરી સાધિકા બનીને પોતાને ડૂબાડી ગયેલાને જ ઉગારે છે.
મન અને શરીરના સંબંધોની ઉપર, આત્માના ગુણધર્મોને અને નૈતિક મૂલ્યોને પોતાના જીવનમાં વણીને જીવી રહેલી આ બાળસખા ઈશ્વરના મસીહા તરીકે આવીને એને પ્રેમથી બેઠો કરે છે, સાત્ત્વિકતા અને નિર્લેપ લાગણીથી જીવનના રસ્તાઓ પર બાકીની સફરનો માર્ગ બતાવે છે.
આઘાત, વેદના, સંવેદના, નિ:સ્વાર્થ, નિર્લેપ, નિર્દોષ લાગણી અને પારદર્શીય પ્રેમથી વણાયેલી આ મહા-નવકથા સાચા અર્થમાં હૃદય-સ્પર્શી હોવાથી વાંચકોના હૈયાને લાગણીથી ભરી દેશે. લાગણીથી વિરક્ત રહેતાં હૈયાંઓ પણ આ નવલકથા વાંચીને લાગણીનાં વહેણમાં ભીંજાયા હોવાની અનુભૂતિ કરી શકશે એવી લેખકને આશા છે.
બીજું બધું બાજુએ મૂકીને પણ આપણા હૃદયના બારણાં ઠોકીને, જે પુસ્તક એના વાંચનમાં એકાકાર થવાની પ્રેરણા આપણા હૈયે જગાવે, એવી આ નવલકથા માનવસંબંધોની ધરતી ઉપર લાગણીનાં વૃક્ષો સ્થાપિત કરતી જશે.
આવો, આપણે પણ આપણા પરિવારમાં આ નવલકથા વસાવીને
સ્વજનોમાં સાત્વિક લાગણીઓનાં તરંગો વહેતાં મૂકીએ.
No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author and Publisher.