04.  'અતીતની ગલીઓમાં'  -  મીરાં ની કલમે

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Sep 10, 2022 12:33 AM - હરીશ પંચાલ 'હૃદય'

210


રાતના સાડા અગિયાર થઈ ગયા હતા. હું (મીરાં) અને શ્રુતિ મારા રૂમમાં હવે પછીના ૩-૪ દિવસોની તૈયારીમાં લાગ્યા હતા. સવારે આશુને લઈને એના ઘરે જવાનું હતું. ત્યાંથી ૨-૩ દિવસમાં પાછા ફરવાનું શક્ય નહોતું. કદાચ ૭-૮ દિવસો પણ હવેલીમાં નીકળી જાય એવી શક્યતા નકારી શકાય એમ નહોતી. આ સંજોગોમાં અહીં, મારા ઘર 'કૃષ્ણધામ'માં બધું વ્યવસ્થિત મૂકવાનું હતું. વાડીમાં તૈયાર થયેલા શાકભાજી બગડી નહીં જાય એ કારણે એ બધાંને તોડીને હવેલી પર લઈ જવાના હતા. સાથે લઈ જવાના કપડાં અને બીજી વસ્તુઓ શ્રુતિ અલગ રાખી રહી હતી. એ દરમ્યાન હું રસોડાનું કામ પતાવવા રૂમની બહાર નીકળી તો ઉપરના માળે પેસેજમાં અજવાળું  દેખાયું. ઉપર જઈને જોયું તો આશુ સૂતો હતો એ રૂમમાં લાઈટ ચાલુ હતી. મનમાં પ્રશ્ન થયો: "આશુ હજી જાગતો હશે?"

…………………

"મીરાં, આ માત્ર તારી જાણ ખાતર, તને જ કહું છું; અને તે પણ તેં પૂછ્યું છે એટલે. હું મારી ડાયરી રોજ લખું છું અને લખતો રહીશ. પણ એ કોઈને વાંચવા નહીં મળે."

પછી થોડી ક્ષણોસુધી એ કઈં પણ બોલ્યા વગર મારી સામે જોતો રહેલો.

મેં પૂછેલું: "તું બોલતો કેમ અટકી ગયો?"

ત્યારે  એણે કહેલું: "માત્ર તું વાંચી શકશે."

મેં કહેલું: "ચાલો હું એક તો ભાગ્યશાળી નીકળી!"

તો એ કહે: "તું વાંચી શકશે પણ મારી હયાતીમાં નહીં. હું આ દુનિયા છોડીને જાઉં એ પછી. મારા જીવતાં જીવત કદાચ તું મને ઓળખી ન શકે તો મારા ગયા બાદ મારી લખેલી ડાયરી તને પ્રતીતિ કરાવશે કે મને તારા પર કેટલી લાગણી હતી!"

એની આ વિચિત્ર વાત સાંભળીને મેં સામો જવાબ આપેલો: "અંતરની લાગણી બતાવવા કાગળ પર ઉતારવી પડે અને તે પણ તૈયાર કરેલા વીલની જેમ મરી ગયા પછી વાંચવા મળે એ કેવી લાગણી? સાચી લાગણીની પ્રતીતિ વાણીમાં થાય, વ્યવહારમાં અને વર્તનમાં થાય. તું મને હાલતાં ચાલતાં હેરાન કર્યા કરે છે, મારી કોઈ વાત ધ્યાનથી સાંભળતો નથી, તને કહું છું એ બધું હસવામાં કાઢી નાખે છે, મને સમજવાનો પ્રયત્ન જ નથી કરતો. આટલો મોટો થયો છતાં હજી  ગંભીરતા નહીં આવી તારામાં. આપણે નાનપણથી સાથે રમીને મોટા થયા, તેં એક વાર પણ મને નથી કહ્યું કે મારે માટે તારા દિલમાં લાગણી છે. જા, હું તારી ડાયરી નથી વાંચવાની."  અને ગુસ્સામાં એની પાસેથી ઊઠીને હું ચાલી ગયેલી. મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં આશુ હતો ત્યારની આ વાત.

…………………

"દીદી, મોટાભાઈને આજે કેમ રહ્યું? હું બપોરે આવી ત્યારે એમના ચહેરા પર ઉદાસીનતા સ્પષ્ટ દેખાતી હતી-. આજે રાત્રે જમતી વખતે પણ જાણે એવું લાગતું હતું કે તેઓ કોઈ બીજી  જ દુનિયામાં હોય!"

શ્રુતિના શબ્દો મારા કાને પડ્યા હતા. છતાં મનમાં સમાંતર સમયે બીજા જ વિચારો ઉદ્ભવી રહ્યા હતા. આજે આખા દિવસ દરમ્યાન વાડીમાં બેસીને આશુએ એના જીવનની જે વીતક કથા ટૂંકમાં કહી સંભળાવી હતી એનાથી શ્રુતિ વાકેફ નહોતી. આશુ અહીં આવ્યો ત્યાર પછી એના ચહેરા પર વિષાદની ઊંડી છાયા જ માત્ર શ્રુતિએ જોઈ હતી. પણ એ બધું ગુમાવીને અહીં આવ્યો હતો, એણે લગ્ન કર્યાં હતાં અને એની પત્નીનું અવસાન થયું હતું - એ બધી વિગતોની શ્રુતિને જાણ નહોતી. આશુ મારો બાળસખા હતો. હું સમજતી થઇ પછી  એની સાથે આખું જીવન વીતાવવાનું મારુ સ્વપ્ન હતું, પણ એને શબ્દોમાં મૂકીને એ સ્વપ્નની અભિવ્યક્તિ મેં આશુ પાસે ક્યારે ય કરી નહોતી. શ્રુતિ આશુના ચાલી ગયા પછી મારા જીવનમાં આવી હતી. એ મારી દીકરી જેવી હતી. ઉંમરમાં એક પેઢી જેટલું અંતર હતું. હવે તો એ પણ મારા પરિવારનો, મારા જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની ચૂકી હતી. મારા નાનપણ અને જુવાનીના દિવસોમાં 'આશુ સાથે ગૃહજીવન માંડવાના'  જે  સ્વપ્ન મારા મનમાં ઉદભવ્યાં હતાં એ વિષે એને પણ કોઈ દિવસ કંઈ કહ્યું નહોતું. છતાં સ્નેહી અને સ્વજનોના અંતરના ઊંડાણ માપી શકવાની શ્રુતિની ક્ષમતા અને આશુ સાથે વિતાવેલાં મારા બાળપણની વાતો અનેક વખત મારે મોઢેથી સાંભળ્યા પછી મારી અને આશુની એકબીજા પ્રત્યેની આત્મીયતાથી એ અજાણ તો નહોતી જ. એ ઉપરાંત શ્રુતિએ પણ નાનપણથી પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી દીધી હતી. એના  પોતાના જ શબ્દોમાં એણે વર્ણવેલી અભિવ્યક્તિ: "દીદી, મારા જીવનમાં આવીને તમે મારી માનું સ્થાન તો લીધું, પણ પિતાની પ્રીતથી હું હંમેશ વંચિત રહીશ." એના હૈયામાં રહી ગયેલી પિતાની પ્રીતની ખોટ એના શબ્દોમાં એ વ્યક્ત કરી ચૂકી હતી. શરૂઆતના વર્ષોમાં આશુની મને બહુ યાદ આવતી અને હું બેચેન થઈ જતી ત્યારે મારી વેદનાને સૂર આપવા શાસ્ત્રીય સંગીતના રિયાઝમાં હું કોઈ રાત્રે માલકૌંસ, ચંદ્રકૌંસ તો કદીક શિવરંજની જેવા હૃદયસ્પર્શી રાગો વગાડીને વેદનાનો ભાર હળવો કરવાના પ્રયત્નો કરતી. ત્યારે શ્રુતિ પણ મારી વેદનામાં સહભાગી થવા મારી બાજુમાં બેસતી.  એ સંગીત શીખી નહોતી પણ મારી સાથે રહીને અમુક રાગોમાં ગૂંથાયેલી અને સૂરોમાંથી વ્યક્ત થતી સંવેદનાઓની અનુભૂતિ એ કરી શકતી હતી. મુખ્ય રાગોમાંથી કયા રાગો દિવસે અને કયા સાંજે અથવા રાત્રિએ ગવાય એ પણ જાણતી થઈ હતી. એક વાર એણે કહેલું: "દીદી, શાસ્ત્રીય સંગીતના રાગ અને અંતરની લાગણીઓને વ્યક્ત કરતાં સૂરો હૈયાને કેટલાં નજીકથી સ્પર્શવાની ક્ષમતા ધરાવતાં હોય છે! બસ એમ થાય કે સાંભળ્યા જ કરીએ!"

…………………

"હું: "સમયના અભાવે હું તને સંક્ષિપ્તમાં જ કહીશ. એના જીવનમાં એક મોટી કરુણ ઘટના બની ગઈ છે. એની પત્નીનો દેહાંત થઈ ગયો છે. એ સદંતર એકલો પડી ગયો છે. મને લાગે છે કે હવે અમેરિકામાં એનું કોઈ રહ્યું નથી. એ સાવ પડી ભાંગ્યો હોય એમ જણાય છે."

શ્રુતિ: "આ બધું ક્યારે થયું? એમના લગ્ન ક્યારે થયા? એમની પત્નીને કોઈ માંદગી હતી? એમને બાળકો હશે ને? દીદી તેઓ તમારા બાળપણના સખા હતા.અને તમને એમના કોઈ એંધાણ ન મળ્યા?"

"તારા પ્રશ્નો બહુ સાહજિક છે, શ્રુતિ. મારા મનમાં પણ એવા કેટલા બધા પ્રશ્નો છે જેના જવાબ મારી પાસે નથી. એ બધી વિગતો મેળવવા ધીરજ રાખવી પડશે. હમણાં ભૂતકાળના ઊંડાણમાં ઊતરવાનો સમય નથી. મારે માટે મહત્ત્વની બાબત અત્યારે એ છે કે આવનારા ૩-૪ દિવસો આશુને માટે વધુ આઘાતજનક નીવડી શકે એમ છે. ૩૫ વર્ષો પહેલાં ગુસ્સામાં એ પોતાનું ઘર છોડીને ગયો હતો, એના માતા-પિતાને, મને છોડીને ગયો હતો. આ બધાં એના સ્વજનો હતાં. સ્વજનોના વિરહનું દુ:ખ બહુ ઊંડું હોય છે. કેટલાય વર્ષોથી એ વિરહની આગમાં તપતો રહ્યો છે. અધૂરામાં પૂરું જેને એણે જીવનસાથી બનાવેલી એ પત્નીનો પણ ૬ મહિના પહેલાં દેહાંત થઈ ગયો. હવે એ બિલકુલ એકલો પડી ગયો છે." 

પોતે ગોઠવી લીધેલી બેગ બાજુએ મૂકીને શ્રુતિ મને બોલતી સાંભળી રહી હતી. ત્યાંથી ઊઠીને એ મારા પલંગ ઉપર આવીને બેઠી.

મને કહ્યું: "દીદી, આપણે મોટાભાઈને એકલા નહીં પાડવા દઈએ. સાચું કહું તો એ આવ્યા ત્યારથી જ મને એ ગમગીન લાગેલા. વળી આજે બપોરે હું આવી ત્યારે એમની આંખો લાલ હતી અને ચહેરા પર ઉદાસીનતા હતી. તમારી આંખો પણ ભીની હતી. મને ત્યારની ચિંતા થતી હતી પણ તમારી સાથે ખુલાસો કરવાનો મોકો  નહીં મળ્યો."

થોડીક ક્ષણોના મૌન પછી એણે આગળ ચલાવ્યું: "તમારા તો એ બાળસખા છે, દીદી. મારી મા અને બાપુજીના ના સ્વર્ગવાસ પછી હું આ દુનિયામાં સદંતર એકલી પડી ગયેલી. ત્યારે તમે જ મારો હાથ પકડેલો. ત્યારથી તમારામાં જ મેં મારી માની છબી જોઈ છે.  તમારા સ્નેહીઓને મારા જ ગણ્યા છે. મારે માટે તમે જ સર્વસ્વ છો. જેઓ તમારા જીવનનો ભાગ છે તેઓ મારા જીવનનો પણ અવિભાજ્ય ભાગ બની રહે છે. એ ઉપરાંત મોટાભાઈ મારા પિતાની ઉંમરના છે. તેઓ મારા વડીલની જગ્યાએ છે. તમે મનમાં બિલકુલ ઓછું નહીં લાવતા, દીદી. એમના ભવિષ્યની મને ખબર નથી પણ હું ઈચ્છું છું કે તેઓ પાછા અમેરિકા નહીં જાય. એમની જીવનયાત્રાને સુખ-શાંતિના માર્ગે આગળ વધારવામાં આપણે કોઈ પ્રયત્નો બાકી નહીં રાખીએ."         

…………………

"એની વીતક કથા કહેતાં, કહેતાં આજે એ બહુ રડ્યો. મેં એની આંખોમાં ક્યારેય આંસુ જોયાં નહોતાં. જયારે એણે મને કહ્યું કે મીરાં, તારા સિવાય હવે મારું કોઈ રહયું નથી" ત્યારે મારું હૈયું ચિરાઈ જતું હોય એવું મહેસૂસ થયું. મારી લાગણીઓ જાણે બળવો કરીને એમ કહેવા પ્રેરિત કરતી હતી કે દુનિયાને સાદ પાડીને કહી દઉં કે "હું  બેઠી છું ત્યાં સુધી મારા આશુને કોઈ નિરાધાર નહીં સમજશો.......!" બોલતાં, બોલતાં મારે ગળે ડૂમો ભરાયો અને હું આગળ બોલી નહીં શકી.    

શ્રુતિ મને ભેટી પડી. મારી આંખોના આંસુઓને લૂછીને બોલી: "મારી દીદી તો વિશાળ હૃદયની છે. જેનું જીવન બીજાઓની સેવા કરવામાં વીત્યું હોય એનાથી ઈશ્વર કેવી રીતે દૂર રહી શકે? તમે આજ સુધી સહારા આપીને જે બધાંને બેઠા કર્યા છે તે બધા તેમના જીવનમાં સ્થાયી થયા છે, એટલું જ નહીં પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યા છે. તો પછી મોટાભાઈ કેવી રીતે પાછળ રહી જાય? તમે ભલે લગ્નગ્રંથિથી જોડાઈને એકબીજાના જીવનસાથી ન બની શક્યા, પણ તમારી નિર્મળ લાગણીનું સ્થાન કેટલું ઊંચું છે! ઈશ્વરે પણ આ વાતની નોંધ તો લીધી જ હશે ને!  દીદી, તમને નથી લાગતું કે મોટાભાઈને અમેરિકાથી અહીં તમારી પાસે આવવાની પ્રેરણા પણ ઈશ્વરે જ આપી હોય ?"

…………………

જીવનસાથીને ગુમાવ્યા ઉપરાંત, વર્ષો પહેલાં એની ગેરહાજરીમાં સ્વર્ગે સિધાવેલાં એનાં બા-બાપુજીના અવસાનના આઘાતની પ્રત્યક્ષ અનુભૂતિ એને આવતીકાલે થવાની છે. એકલો પડેલો એ દુ:ખિયારો જીવ - મારો નાનપણનો બાળસખા આ આઘાતને કઈ રીતે લેશે એ વિચારે મને અજંપો મહેસૂસ થઈ રહ્યો હતો. એમાં મારી પણ પરીક્ષા થવાની હતી: "હું એને હૈયાધારણ આપીને એની વેદનાને શાંત કરી શકીશ કે નહીં? પોતાના આકરા નિર્ણય માટે પશ્ચાત્તાપની જે આગ એના અંતરમાં ઊઠી રહી હશે એમાંથી હું એને બહાર કાઢી શકીશ કે નહીં?.." આ બધા વિચારોમાં હું અટવાયેલી  હતી ત્યાં જ શ્રુતિએ મારી તરફ પડખું ફેરવ્યું અને એની સાથે એનો જમણો હાથ મારા શરીર પર આવ્યો. મને રોજ ડાબે પડખે ફરીને સૂવાની ટેવ હતી. પણ અત્યારે પડખું ફેરવવામાં શ્રુતિ જાગી જાય એની મને ચિંતા હતી. આજે કેટલાય મહિનાઓ પછી એ મારી બાજુમાં સૂતી હતી. “મા બાજુમાં હોય ત્યારે બધી જ દીકરીઓ વાત્સલ્ય અનુભવવા આ રીતે સૂતી હશે?

એના જ શબ્દોમાં, "દીદી, તમારું જીવન અને જીવનશૈલી મારે માટે પ્રેરણા છે અને હું એ જ માર્ગે મારું જીવન વ્યતીત કરવા માંગું છું." એવું ૨-૩ વખત મારી પાસે બોલી ગઈ હતી. મારી જેમ ધન-વૈભવનો મોહ એને પણ નહોતો. જીવનની જરૂરિયાતો સચવાય અને ભવિષ્ય માટે ખપ પૂરતી બચત કરી શકાય એટલી આવક પૂરતી છે એવું એ માનતી. આવા ઉમદા વિચારો વાળી મારી શ્રુતિ આજે મારી બાજુમાં સૂતી છે, થાકેલી છે. એની નિદ્રામાં ખલેલ પડે એવું કઈં કરવું નથી, એ વિચારે હું પલંગ પર હતી એ જ મુદ્રામાં પડી રહી.

મારા વિચારો સાથે રાત્રિ પણ આગળ વધતી જતી હતી. એવામાં બહાર કૂતરાઓના ભસવાનો અવાજ આવ્યો અને શ્રુતિની ઊંઘમાં ખલેલ પડી હોય એમ એણે પાછું પડખું ફેરવ્યું. એ સાથે મારા શરીર પર રહેલો એનો હાથ પાછો એના ડાબે પડખે ગયો. આ તક મળતાં હું ડાબે પડખે ફરી અને નિદ્રાદેવીએ એમનો શાંતીભર્યો પાલવ મારા પર ઓઢાડી દીધો.

ઈશ્વરે એના જગતમાં પોતાના બાળકો માટે કરેલી અમુક વ્યવસ્થાઓ એટલી અદભૂત હોય છે કે એનો આભાર કેવી રીતે માનવો એની સમજણ પણ આપણી પાસે નથી હોતી. આપણે જાગૃત અવસ્થામાં હોઈએ ત્યારે મનમાં વિચારો આવતા રહે છે. પણ આપણે સૂતા હોઈએ છીએ ત્યારે અર્ધતન્દ્ર  અવસ્થામાં વિચારો નથી આવતા, પણ સ્વપ્ન આવે છે. કોઈ વાર અધ-કચરી ઊંઘમાં હોઈએ અને આજુબાજુ કોઈની આવનજાવન થાય અથવા કોઈના બોલવાનો અવાજ સંભળાય ત્યારે એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે આપણે સુષુપ્ત દશામાં કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છીએ કે પછી આપણી સાથે હકીકતમાં કોઈ વાત કરી રહયું છે! મારી પરિસ્થિતિ બરાબર આવી જ હતી. મારી પાસે આવીને કોઈ બોલી રહ્યું  હોવાનો આભાસ મને થયેલો.

…………………

રસુલે ગાડી હવેલી તરફ જવાના રસ્તે લીધી. ગાડીની સફર માટે મારા ઘર, 'કૃષ્ણધામ'થી હવેલીનો રસ્તો બહુ લાંબો નહોતો, છતાં આ એક બહુ જ મહત્વપૂર્ણ સફર હતી. 

નાનપણમાં, ગુસ્સાના આવેગમાં મારા બાળસખાએ મને હીંચકા પર થી નીચે પાડી નાખીને ઈજા પહોંચાડેલી. ત્યારે જે ઈસ્માઈલ ચાચાના ટાંગામાં મને વૈદ્યરાજની પાસે લઈ જવામાં આવેલી એ જ ઈસ્માઈલ ચાચાનો નાનો  દીકરો એની ગાડીમાં અમને હવેલીએ લઈ જઈ રહ્યો હતો. જેણે મને ઈજા પહોંચાડેલી અને એની હવેલીએ ઈલાજ કરાવવા મને લઇ ગયેલો એ જ મારો બાળસખા આજે મારી બાજુમાં બેઠો હતો. આજે એ  એના અંતરમનથી ઘવાયેલો હતો અને હું એને એ જ હવેલીએ લઈ જઈ રહી હતી. જે વૈદ્યકાકાએ પાટા-પિંડી કરીને મારો ઘાવ ભર્યો હતો એમના જ ઘરે અમે જઈ રહ્યા હતા. જેમણે મારો ઈલાજ કરેલો તેઓ હવે આ દુનિયામાં રહ્યા નહોતા. નાનપણમાં મને ઈજા પહોંચાડ્યા પછી પોતાનું ખમીસ ફાડીને જેણે મારા ઘાવમાંથી વહેતું લોહી સાફ કર્યું હતું એના અંતરમનથી વહી રહેલી વ્યથાનો ઈલાજ કરવા મેં પણ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો હતો. એની હવે પછીની જિંદગીમાં એને સ્થાયી કરવાની જવાબદારી લેવા માટે પણ મેં મનમાં મક્કમ નિર્ધાર કર્યો હતો, અને ઈશ્વર પાસે એની મૌન ઘોષણા પણ કરી દીધી હતી. 

આશુના ચહેરા ઉપર પથરાયેલી અશાંતિની રેખાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.  એના મનની વિહવળતા ઓછી કરવા મારો હાથ મેં એના હાથ પર મૂક્યો અને કહ્યું: :આપણે થોડા જ સમયમાં તારી હવેલીએ પહોંચી જઈશું, આશુ. તું ૩૫ વર્ષો પછી તારી હવેલીને જોઈ શકશે. “

 

અતીતની ગલીઓમાં ફરતાં, ફરતાં આગળ ઉપર શું આવવાનું છે, કેવા માહોલમાં થી પસાર થવાનું છે

એ જાણવા માટે નવલકથા "ધાગા લોહીના કાચા, નાતા પ્રીતના સાચા" વસાવવી જ પડશે ને?

01. માતૃભૂમિની વિસરાયેલી શેરીઓમાં

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at hridaysparsh17@gmail.com

 

Aug 02, 2022 01:02 PM - હરીશ પંચાલ 'હૃદય'

“ત્રણ દાયકા પછી આ ધરતીની માટી પર પગ મૂકું છું. હૈયામાં સુષુપ્ત થઈને સૂતેલાં સ્પંદનો ખબર નહીં કેમ, કોઈ અવર્ણનીય બેચેનીથી જાગૃત થઈ રહયાં છે.    ધરતી પર મેં પહેલો  શ્વાસ લીધો હતો. મારું પહેલું  રુદન આ ધરતીએ સાંભળ્યું  હતું. આ જ ગામની ગલીઓમાં મારું નિર્દોષ બાળપણ વીત્યું હતું. જેમની સાથે રમતાં, લડતાં - ઝઘડતાં બાળપણની મસ્તીઓ માણી હતી તેઓ બધાં ક્યાં હશે, કોને ખબર!  એમના બાલ્યાવસ્થાના ચહેરા હજી મને યાદ છે. પણ ૩૫ વર્ષો પછી સામે મળે તો તેમને હું કેવી રીતે ઓળખી શકવાનો હતો?  ઈશ્વરની કૃપા થાય અને એવું કોઈ મળે જે મને ઓળખી શકે અને હું એને ઓળખી શકું, તો કેવું સારું ! કોઈ જ ન મળે તો પણ આ ગામની શેરીઓ, અથવા ગામના ચોરાઓ, કોઈના તો એંધાણ દેશે ને ? છેલ્લા ૩૫ વર્ષોમાં રસ્તાઓ એટલા બધા તો બદલાઈ નહીં ગયા હોય કે મને મારું ઘર જ ન મળે !”

254

Read more

ચાલો આપણી યાત્રા આરંભ કરીએ

Jul 26, 2022 09:18 PM - હરીશ પંચાલ ‘હૃદય’

માનવ સંબંધોમાં અનુભવાતા ઉતાર-ચઢાવ, આશા – નિરાશા, સુખ-દુ:ખ વગેરેનાં વિરોધાભાસી સંવેદનો વચ્ચેથી પસાર થતાં રસ્તાઓ પરની સફર દરમ્યાન મનમાં કેટલાં ય પ્રશ્નો ઉઠતા રહે છે જેના જવાબ આપણા અનુભવોમાંથી જ શોધવા પડે છે.

223

Read more

02. એમને વેદનાના અમે પાયાં'તાં વિષ, તો'ય એમણે આપી અમને હૈયાની પ્રીત!

 (આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:21 PM - હરીશ પંચાલ ‘હૃદય’

૩૫ વર્ષો !’ જીવનનો કેટલો લાંબો ગાળો હતો એ! અને કેટલો મહત્ત્વપૂર્ણ ! જે વર્ષોમાં હૈયામાં ઉમંગો તરવરતાં હોય, જુવાનીનું જોશ હોય, નાનપણથી અંતરના ઊંડાણમાં સંઘરી રાખેલી મહત્ત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની તમ્મના હોય, એમને ફળીભૂત કરવા માટે જે નિર્ણયો અને કાર્યો  નિર્ધારી રાખ્યાં હોય, એ બધાં સ્વપ્નોને, એ ઈચ્છાઓને યુવાનીમાં સાકાર થતાં જોવાનો - એનો આનંદ માણવાનો જે યુગ હોય એ યુગ વીતી ગયો હતો. મીરાંએ પણ એના પ્રેમાળ હૈયામાં ઊંચા મનોરથો સેવ્યા હતા, કેટલી મહત્ત્વની યોજનાઓ વિચારી રાખી હતી, ભવિષ્ય માટે. એ યોજનાઓને અમલમાં મૂકવાનો સમય બહુ દૂર નહોતો. પણ જેની સાથે, જેના સહારા વડે એ યોજના પાર પાડવાની હતી, જે એના જીવનનું સુકાન સંભાળવાનો હતો એ સુકાની છેલ્લી ઘડીએ એને મૂકીને ચાલી ગયો હતો. એ બેદરકાર, બેજવાબદાર અને અવિચારી સુકાની હું જ હતો. 

230

Read more

03. ઊઠ્યા તેઓ ઉપર એટલું, કદ અમારું દીસે વામણું

 

(આ પ્રકરણ અંગે થોડું જાણીએ)

 

No part of this book may be reproduced or utilized in any form or in any manner using any means including photocopying, scanning, recording, forwarding, digitally or mechanically or by using its information either by storage and/or retrieving system, without written permission from the Author Harish Panchal હૃદય

at  hridaysparsh17@gmail.com

Aug 02, 2022 04:25 PM - હરીશ પંચાલ 'હૃદય'

વેદાંતના અભ્યાસમાં ઊંડા ઉતરીને મનુષ્ય જીવનમાં ઈશ્વર સાથેની કડીને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જઈને એ સમજાયું કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે, અહીં આપણું શું પ્રયોજન છે, શું કરવાનું છે, આ જગતમાં ઈશ્વર સિવાય બાકીનું બધું જ અ-સત છે, માત્ર ઈશ્વર જ સત છે, સત્ય છે. મનુષ્યસેવા એ જ સાચી ઈશ્વર-સેવા છે. 

203

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.