સુખની પાછળ અમે કેટલું ભમ્યા?
આપણને કોઈ સુખોનો ખજાનો બતાવે તો એમાંથી આપણે એમને કેટલું આપીએ? સંસારમાં સુખો સસ્તાં કે દુ:ખો? બે માંથી સહેલાઈથી શું મળે?સંસારમાં સુખ અને આનંદ જેટલાં વહેંચાય એટલાં વધે છે. પણ દુ:ખો વહેંચાતાં હોય તે લેવા કેટલાં રાજી હોય છે?
માત્ર આપણી જ નહીં પણ ઘણાની આ ફરિયાદ રહી છે કે જીવનમાં મહદ અંશે દુ:ખો જ મળતાં રહ્યાં છે. સુખ મેળવવા કેટલું રળવું પડે છે, કેટલું ભટકવું પડે છે, ત્યારે જઈને ક્યાંક થોડા સુખની ઝાંખી થાય છે. અને એકવાર આપણે ધારેલું સુખ મળ્યા પછી એને ટકાવી રાખવા કેટલું ઝઝૂમવું પડે છે!
આપણે જન્મીને મોટા થયા, સમજતા થયા, અને આ ઉંમરે પહોંચ્યાં ત્યાં સુધી કેટલાય સંજોગોમાં, પરિસ્થિતિઓમાં અસંખ્ય લોકોના સંપર્કમાં આવ્યા, એ દરમ્યાન જીવનમાં ઉદ્ભવતા નાના –મોટા દુ:ખો માટે આપણે કઈંક કેટલી ફરિયાદો કરી હશે!અને દુ:ખો માટેની ફરિયાદો નજીકના ભવિષ્યમાં અથવા મોટી ઉંમરે પહોંચીશું ત્યાં સુધી ઓછી થઈ હશે અથવા નાબૂદ થઈ ગઈ હશે એવું પણ નથી. કારણ કે આપણા રોજના વ્યવહારમાં બનતી રહેતી ઘટનાઓમાં અને અન્ય લોકો સાથેના વ્યવહારમાં ઘણી વાર આપણે ઈચ્છેલું અથવા આપણે ધારેલું થતું ન હોય ત્યારે આપણને ગુસ્સો આવે છે, દુ:ખ થાય છે.
વિદ્યાર્થીઓને પરીક્ષામાં ધારેલા માર્ક્સ નહીં આવે અને મનપસંદ શાળા અથવા અગ્રગણ્ય કોલેજમાં પ્રવેશ નહીં મળે તો મનમાં નિરાશા પ્રવેર્તે છે.અભ્યાસક્રમમાં સ્નાતક ( graduate)થાય પણ ઓછા માર્ક્સ આવે અને સારી નોકરી નહીં મળે તો દુ:ખ થાય છે. નોકરીમાં સહકાર્યકરો અને ઉપરી-અધિકારી સાથે મન-મેળ નહીં હોય તો ગુસ્સો અને દુ:ખ અનુભવાય છે. જે પ્રમોશન આપણને મળવું જોઈતું હતું એ કોઈ બીજાને મળે અને આપણે જ્યાં હતા ત્યાં જ રહીએ ત્યારે દુ:ખ થાય છે. જેની સાથે મિત્રાચારી બાંધી હોય, જીવનસાથી બનાવીને એમની સાથે ગૃહસ્થાશ્રમ શરુ કરવાની મહત્તવાકાંક્ષા સેવી હોય એની સાથે સંબંધ બાંધી નહીં શકાતાં કોઈ બીજી વ્યક્તિની સાથે સંસાર શરુ કરવો પડે ત્યારે સુખ ઘણું દૂર થઈ ગયેલું મહેસૂસ થતું હોય છે.
સંસારની સફરમાં ડગલે અને પગલે જીવનસાથી સાથે મતભેદ પ્રવર્તતો રહેતો હોય, નોકરી ધંધાની ભાંજગઢોને વિસારીને ઘરે આવીએ ત્યાં પણ મનની શાંતિ નહીં મળતી હોય, બાળકોની બધી જ ઈચ્છાઓને સંતોષી નહીં શકાતાં તેઓ આપણાથી વિમુખ જતા હોવાના અણસાર મળતા હોય, માન, મર્યાદા, શિસ્ત અને લાગણીની અવહેલના કરીને બાળકો પોતાનું મનમાન્યું કરતા થાય ત્યારે જીવનમાંના મહદ ક્ષેત્રે અરાજકતા અને અસંતોષનો જ અનુભવ થતો હોય છે. એ ઉપરાંત અવારનવાર જીવનમાં બનતી ઘટનાઓ મનને બેચેન કરતી રહે ત્યારે આપણા દુ:ખની માત્રા વધતી જ રહેતી હોય છે.
દુ:ખની પરાકાષ્ઠા ત્યારે આવે છે જયારે જીવનની સંધ્યાટાણે જેમને પોતાના ગણ્યા હતાં, જેમના પર મદાર બાંધ્યો હતો, જેમના તરફથી કેટલી આશાઓ રાખી હતી તેવા સહારાઓ આપણને છોડીને આપણાથી દૂર થઈ જાય છે, ત્યારે વધુ આઘાત લાગે છે.
જીવનમાં બનતી રહેતી આવી આઘાતજનક ઘટનાઓને કારણે અને જીવનકાળના લાંબા ગાળા દરમ્યાન ઉઠાવવા પડતા દુ:ખોના બોજાઓથી ઉદ્ભવતી વેદના બહુ ઊંડી હોય છે. માત્ર આપણે જ નહીં, આ પ્રક્રિયામાંથી કોઈ જ બાકાત નથી હોતું. આપણાં સગાં-સ્નેહીઓના અને સ્વજનોનાં જીવનમાં પણ આવી દુ:ખદ ઘટનાઓને થતી નિહાળીએ છીએ ત્યારે સમગ્ર સંસારમાં સર્વત્ર દુ:ખ જ દુ:ખ હોવાની માન્યતા મનમાં ઘર કરી જાય છે.
અત્યાર સુધી કેટલાય જન્મોથી આપણે આ ધરતી ઉપર આવતા રહ્યા છીએ, જન્મતા રહ્યા છીએ, જીવતા રહ્યા છીએ, જીવીને મરતા રહ્યા છીએ અને ફરી પાછા અહીં આવતા રહ્યા છીએ. દરેક જન્મમાં જીવનનો આ જ ક્રમ રહ્યો છે: જન્મ, નિર્દોષ, લોભામણું અને પરાણે વહાલું લાગતું, નટખટ, તોફાની અને બેજવાબદાર બાળપણ, અલ્લડ, સાહસિક જુવાની, લગ્ન પછી આર્થિક સ્થિરતા સાથે આવતી જવાબદારીઓ ભરેલું દામ્પત્ય જીવન; ઠરેલ અને ગંભીર પુખ્ત ઉમરનું ડહાપણ; ઢળતી જતી તંદુરસ્તી અને વધતી જતી ચિંતાઓ સાથે આવતો જીવનનો સંધ્યાકાળ; દૂર થઈ જતાં સ્વજનો અને છૂટી જતા જીવનના સહારાઓ; બધી જાતની મુશ્કેલીઓ અને દુ;ખો વચ્ચે સાથ નહીં છોડનારી વૃદ્ધાવસ્થા; ક્યારે આ બધી યાતનાઓમાંથી છૂટાશે, ક્યારે ઉપરથી તેડું આવશે એની અનિશ્ચિતતા વચ્ચે, આખી જિંદગી દરમ્યાન ભેગું કરેલું બધું છોડીને જવું પડશે એના વિચારો; અને પછી મૃત્યુ . સ્મશાન સુધીની અચેતન દેહની છેલ્લી યાત્રા.
અસંખ્ય જન્મોથી આપણે સહુ આ યાત્રા કરતા આવ્યા છીએ. પણ દેહ પ્રાણ છોડે એ પછી અને એ પછીના પુનર્જન્મમાં આપણે પહેલો શ્વાસ લઈએ એ બે ઘટનાઓ વચ્ચે વિદેહી આત્મા સાથે બનેલી બધી જ ઘટનાઓથી આપણે અજાણ હોઈએ છીએ.
જન્મો - જન્મથી આપણને મળતા રહેલા દરેક જન્મમાં આપણે સુખને શોધતા રહ્યા, સુખોની પાછળ દોડતા રહ્યા. આપણે જે સમાજમાં હતા, જે શહેરમાં, જે રાજ્યોમાં હતા, જે દેશમાં હતા, એ બધાના પોતાના નિયમો હતા. સુખ મેળવવાની હોડમાં જે નિયમો વચ્ચે આવતા હતા એ બધામાં છટકબારીઓ શોધીને, સુખોને ભોગવવા જે પણ ઊંધા-ચત્તા કરવા જરૂરી હતા તે કરતા રહ્યા. જે સુખો મળ્યાં એમનાથી સંતોષ ક્યારે ય નહીં અનુભવાયો અને મળેલાં એનાથી પણ ઊંચી કક્ષાના સુખોની પાછળ દોડતા રહ્યા. આ સુખ પાછળની દોડમાં કેટલું દોડ્યા હોઈશું એ જાણવાનો વિચાર સુધ્ધાં કોઈ દિવસ આવ્યો નહીં. જીવનના સંધ્યાકાળે થાકી જવાયું ત્યાં સુધી ખબર જ પડી નહીં કે કિનારે આવીને બેઠા છીએ, જીવન પૂરું થવા આવ્યું છે છતાં જે બધાની ઝંખના કરી હતી તે હજી મળ્યું નથી..
જીવનભર સુખોની પાછળ દોડવામાં, મળેલાં સુખો ભોગવવામાં અને જે મળ્યાં નહોતાં એમને કોઈ પણ હિસાબે મેળવવામાં, બાળકોની જરૂરિયાતો, એમના ભણતર, એમનું ઘડતર, કુટુંબની સાર-સંભાળ વગેરે પાયાના ક્ષેત્રમાં, એનાથી પણ અગત્યની જરૂરિયાત - મનની શાંતિ શોધવાનું, આપણે કોણ છીએ, અહીં શા માટે આવ્યા છીએ, આ જન્મમાં શું કરી જવાનું છે, આ મળેલા જન્મનો શું ઉદ્દેશ છે, વગેરે મહામૂલા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય જ રહ્યો નહીં. જેટલાં સુખ, સાધનો, સંપત્તિ વગેરે મળ્યાં એ બધાથી જીવનમાં સંતોષ ક્યારે પણ અનુભવાયો નહીં.
"ઈશ્વરે આપેલું હવે બધું જ છે", એવી સમજ કોઈકને આવી ત્યારે જીવનની સંધ્યા આથમવા આવી હતી. આ શરીરમાંથી આત્માએ વિદાય લીધી એ પછીની સફર દરમ્યાન “એક જન્મ વીતી ગયો છતાં આત્માના ઉધ્ધાર માટે જે કરવાનું હતું એ તો કર્યું જ નહીં” એ જ્ઞાન લાધ્યું કે નહીં તેની પણ કોઈ ભાળ મળી નહીં.
મોગલ સલ્તનતના અંત સમયના બાદશાહ – બહાદુરશાહ ઝફરે લખેલી એક ગઝલના શબ્દો ત્યારે યાદ આવ્યા:
"उमरे दराज़ मांगके लाये थे चार दिन,
दो आरज़ुमे बीत गए, दो इंतेज़ारमें"
એ ગઝલકારના શબ્દો મુજબ, ચાર દિવસની જિંદગી હતી. એનો અડધો સમય આશા અને ઈચ્છાઓ કરતાં રહેવામાં ગયો અને બાકીની જિંદગી ક્યારે એ આશાઓ પૂરી થશે, એના ઈન્તેજાર પાછળ ગાળ્યો. આ છે આપણા સહુના જીવનની કહાણી. જીવનની દિશા નક્કી કરવા આપણે સતત વિચારો કરતા રહીએ છીએ. હકીકતમાં આપણા વિચારોની દિશા બદલવાની જરૂરિયાત તરફ આપણું ધ્યાન જતું નથી.
સુખોની શોધમાં અમે એટલું ભમ્યા
કે દુ:ખોની શેરીઓમાં ભૂલા પડ્યા.
પ્રભુએ મોકલ્યા’તા અહીં શોધવા ઓળખ અમારી,
“હું કોણ અને અહીં શા માટે” એ તો કદી સૂઝ્યું નહીં.
મળ્યાં સુખથી દુ:ખ વધુ, તો ય આશ સુખની છૂટી નહીં,
દુ:ખોના રણમાં, ઝાંઝવાના જળમાં અમે સુખોના નીરને શોધતા રહ્યા.
“तत्वमसि” -“તું જ હું છું” કહીને મોકલેલા ઈશ્વરે અહીં.
પણ સુખની શોધમાં અંદર બેઠેલો ઈશ્વર દેખાયો નહીં.
ઈશ્વરે આપેલાં સુખ દેખાયાં નહીં, જે નહોતાં એની આશ કદી શમી નહીં.
વિતાવ્યાં જે આયખાં તે ગયા નકામા, જન્મ-મરણની જંજીર કદી તૂટી નહીં.
ચાલો મનવા, પ્રભુ આપે તે સઘળું બિરદાવીને લેતાં જઈએ,
જીવનમાં મળતાં દુ:ખો, તે ઈશ્વરીય પ્રસાદ સમજી આરોગતા જઈએ.
અમે ચાલતા રહ્યા, આ જીવનના એકાંત રસ્તાઓ ઉપર
જીવનના આ રસ્તાઓ ઉપર આપણે સહુ એકલા જ છીએ.
જન્મેલા ત્યારે એકલા જ આ દુનિયામાં આવેલા.
માતા-પિતા, ભાઈ- બહેનોએ મોટા કરીને, ભણાવી- ગણાવીને પરણાવેલા.
साजन के घर जाना है
વર્ષો પહેલાં મારી હરિદ્વારની મુલાકાત દરમ્યાન, મુખ્ય શહેરમાંથી हर की पेढी તરફ જતાં ઘણા મકાનોની બહારની દિવાલો ઉપર સારા એવાં લખાણો નજરમાં આવ્યાં હતાં. એમાંથી એક જૂના મકાનની દિવાલપરનું લખાણ हिंदी ભાષામાં, ગેરુ રંગથી, બહુ જ સુવ્યવસ્થિત રીતે લખાયેલું હતું.
આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?
સવારના એલાર્મની ઘંટડી આપણને ઊંઠાડે છે, નાના બાળકોને એમની મા ઊઠાડે છે, જીવનસાથીની સેવાની ઝંખના રાખનારા પતિદેવોને એમની પત્નીઓ ઊઠાડે છે, જયારે નિયમિત જીવન જીવવાને ટેવાયેલા ગૃહસ્થોને શિસ્તબદ્ધ થયેલું એમનું 'body clock’ ઊઠાડે છે.
ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ
માના ખોળા માંથી ઘરના ઓરડાઓમાં; ઘરથી શહેરના,
શહેરથી જીવનના; જીવનથી સ્મશાનના,
સ્મશાનથી પાછા બીજી મા ના ગર્ભમાં
યશોદા આજે પણ જીવે છે
આપણે જાણીએ છીએ કે કૃષ્ણ જીવે છે. આપણા અંતરનાં ઊંડાણમાં ઝાંકીને આપણે જોયું નથી ત્યાં સુધી માનીએ છીએ કે કૃષ્ણ આપણી આસપાસ જ ક્યાંક છે. કેટલાં ય જન્મોથી એને શોધવા કેટલાં મંદિરના પગથિયાં આપણે ચઢતા રહ્યા, કેટલી ય મૂર્તિઓના પગે માથું ટેકવી, ફળ, ફૂલ, દૂધ અને વિવિધ પ્રકારના અર્ધ્ય અર્પતા રહ્યા.
{{commentsModel.comment}}