આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?
સવારના એલાર્મની ઘંટડી આપણને ઊંઠાડે છે, નાના બાળકોને એમની મા ઊઠાડે છે, જીવનસાથીની સેવાની ઝંખના રાખનારા પતિદેવોને એમની પત્નીઓ ઊઠાડે છે, જયારે નિયમિત જીવન જીવવાને ટેવાયેલા ગૃહસ્થોને શિસ્તબદ્ધ થયેલું એમનું 'body clock’ ઊઠાડે છે.
ક્ષિતિજમાં સૂરજ ઉગે છે, સવાર પડે છે, રોજની નિર્ધારેલી પ્રવૃત્તિઓમાં દિવસ ઉગે છે, કામકાજમાં દિવસ વીતે છે, બપોર જાય છે, સાંઝ પડે છે, આખા દિવસની કામચર્યા આટોપવાનો સમય થાય છે. ભોજન - આદિથી પરવારીએ ત્યાં વિદાય લેતી સંધ્યા રાત્રિને આવકારે છે. આખા દિવસ દરમ્યાનના કાર્યભારથી અને મનમાં પાળેલી ચિંતાઓના ભારથી થાકેલા આપણે પથારીમાં પડીએ છીએ. નિદ્રાદેવી આપણો કબજો લઈ લે છે એ પછી બીજા દિવસની સવારે જ આપણને આપણા અસ્તિત્વનોફરી એક વાર અહેસાસ થાય છે.
આ ક્રમ કેટલાંય વર્ષોથી આપણાજીવનમાં ચાલતો આવ્યો છે. આપણી આ યાત્રામાં કોઈ આપણને પૂછે કે "તમારું "ધ્યેય શું છે?". "તમે જીવનમાં શું કરવા અથવાશું બનવા ઈચ્છો છો?" ત્યારે કોઈકના મગજમાં એ વિચાર ઉદ્દભવી શકે કે "આ દિશામાં તો આપણે કોઈ વિચાર જ નથી કર્યો!"
જીવનમાં શું કરવું, અથવા શું બનવું એ જીવનનું એક મુખ્ય ધ્યેય - important goal છે.આવા અગત્યના ધ્યેય અલ્પ સમયની યોજનાથી અથવા થોડા સમયના પરિશ્રમથી હાંસિલ નથી કરી શકાતા.ધ્યેય નક્કી કર્યા પછી પણ આપણને વ્યવસ્થિત રીતે એ ધ્યેય સુધી પહોંચાડી શકે એવા ‘short term goals’ વિચારીને એમને હાંસિલ કરવાના હોય છે. જીવનના મોટા ધ્યેયોને સિધ્ધ કરવા પાછળ જે તૈયારી કરવી પડતી હોય છે, આપણું પોતાનું જે રીતે ઘડતર કરવું પડતું હોય છે, એ બધા પાયાના કાર્યોમાં લાંબો સમય જતો હોય છે. આવાનાના, short term goals ‘intermediate mile-stones’ની જેમ,આપણા મુખ્ય ધ્યેય સુધી લઈ જવા માટેના પગથીઆં અથવા ‘stepping stones’ બનીને આપણા ધ્યેયના શિખર સુધી પહોંચાડવામાં આધારભૂત થતા હોય છે. નાની ઉંમરમાં જેઓ પોતાના ધ્યેયને ઓળખીને અથવા નક્કી કરીને, એને હાંસિલ કરવાની વ્યવસ્થિત યોજના બનાવીને,પોતાની career,વ્યવસાય, કાર્યક્ષેત્ર અને ઈતર પ્રવૃત્તિઓમાં આગળ વધતા રહે છે, તેઓ આડે-અવળે રસ્તે ભૂલા પડ્યા વગર જીવનના નિર્ધારિત મુકામ ઉપર પહોંચવાની ક્ષમતા કેળવી શકતા હોય છે.
ઉગતી ઉમર સાથે વધતી જતી સમજણ, વિચારશક્તિ અને નિર્ણય-શક્તિ, ધ્યેય નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. ‘આપણે અહીં શા માટે આવ્યા છીએ’, ‘આ જીવનમાં આપણો શું મકસદ છે’ - જેવા પ્રશ્નોનો ઉચિત અહેસાસ, ઊંડી સમજણ અને વિશ્લેષણ-શક્તિ ધરાવતી વ્યક્તિઓને થતો હોય છે. પણ જેઓ પોતાના ધ્યેય જાણી નથી શકતા, તેઓ બસ 'જીવતા જ જાય છે’, જીવનના રસ્તાઓ જ્યાં લઈ જાય એ દિશામાં ચાલતાજ રહે છે.
સમય-ચક્રના જે કાળમાં આપણે જીવી રહ્યા છીએ અને સંસારના જે રસ્તાઓ ઉપર આપણે ચાલી રહ્યા છીએ એ સફરમાં ઘણા સારા અને નબળા અનુભવોનું મિશ્રિત ભાથું બાંધીને આપણે આગળ વધી રહ્યા છીએ. આ મુસાફરીમાં કોઈ આગળ છે તો કોઈ પાછળ. આપણી સાથે ચાલી રહેલા સહમાર્ગીઓ આપણા સગાં-સંબંધીઓ અને મિત્રો હોવા છતાં દરેકની વિચારસરણી અલગ છે, જીવનશૈલી અલગ છે, આદર્શો અલગ છે, સમજઅલગ છે અને વિશ્લેષણ-શક્તિ અલગ છે.એ જ રીતે દરેકના ઉદ્દેશો અલગ છે અને જીવનના મૂળભૂત મૂલ્યોની પરિભાષા અલગ છે. પૂર્વ જન્મમાં મેળવેલા અને આ જન્મમાં ઉમેરાયેલા સંસ્કારોના માળખાં અલગ છે. દરેકમાં સત્વ, રજસ અને તમસ - એ ત્રિગુણોના અંશનું પ્રમાણ અલગ છે. સતત વહી રહેલા સમય સાથે નીતિમત્તતાના ધોરણો બદલાયાં છે અને બદલાતાં રહે છે.
નીતિમત્તતાના ધોરણોની વાત નીકળી છે ત્યારે લોકોમાં જીવનના નૈતિક મૂલ્યોના ઊંડાણની ચર્ચા સાહજિક રીતે જ મનમાં ઊભર્યા વગર રહેતી નથી. નૈતિક મૂલ્યોના વિષયને સ્પર્શ્યા વગર ‘આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?’ એ શીર્ષકને ન્યાય આપવો શક્ય નથી. આ એ વિષય છે જે હાલના માનવ-સમાજનું તાદર્શ દર્પણ આપણી સામે ઊભું કરે છે. તો ચાલો આ દર્પણમાં જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એના પર એક નજર નાખી લઈએ.
સમાજનો એક બહોળો સમુદાય પોતાને બીજાઓ કરતાં ઊંચી કક્ષામાં જીવી રહ્યા હોવાના અહેસાસ સાથે માથું ઊંચું રાખીને ફરતો દેખાય છે. આપણી સાથે ચાલી રહેલા અસંખ્ય લોકોના જીવનમાં ઝાંકીને જોઈએ ત્યારે એમના સ્વભાવ, વિચાર, વાણી અને વર્તન વગેરે, સાત્ત્વિક જીવનની વિચારધારા કરતાં વિપરીત હોવાનું જણાય છે. એમને નજીકથી ઓળખવાનો અવસર મળે ત્યારે જે વાસ્તવિક ચિત્ર આંખ સામે આવે તે કઈંક આવું છે:
જીવનના મૂળભૂત નૈતિક અને મૌલિક મૂલ્યો બદલાયાં નથી, પણ એમનું સન્માન કરીને પોતાના જીવનમાં એમને ઉતારવાની વિવેકબુધ્ધી ગુમાઈ ગઈ છે. વ્યક્તિત્વને સતત નીચી કક્ષાએ લઈ જનાર આવાં નકારાત્મક વલણ અને અવગુણોને કારણે લોકોની મનોવૃત્તિ નીચે ઉતરી છે અને હજી નીચે ઉતરતી જાય છે. વિચાર,વાણી, વર્તન અને વ્યક્તિત્વના માપદંડ તરીકે વપરાતાં 'યોગ્ય' અને 'અયોગ્ય' વિશેષણો પોતાની જ વ્યાખ્યાની સીમા-રેખાઓમાં એવાં અટવાઈ ગયાં છે કે કોઈ પણ જાતનું ગેર-વર્તન 'યોગ્ય' ગણાવા લાગ્યું છે,અથવા, "આવું તો ચાલ્યા જ કરે" એવા વિધાનો હેઠળ આશ્રય મેળવી રહ્યું છે. લોકોના વિચારોમાં વિકાર આવ્યો છે, ને વાણી તથા વર્તનમાં ઉદંડતા.પોતાના જીવનમાં ઉપર આવવા અમુક લોકો બીજાઓને નીચે પાડીને ઊંચાઈ પ્રાપ્ત કરવાના પર્યાયો શોધે છે. પોતાની સમૃધ્ધિ અને સંપત્તિ વધારવા બીજાઓની સાધન-સંપત્તિપર કબજો જમાવવામાં જરા સરખો પણ ક્ષોભ નથી અનુભવતા.
બહુ જ ટૂંકા સમયમાં અને મહેનત કર્યા વગર લોકોને રાતોરાત ધનવાન થઈ જવાની ઘેલછાએ એમના મન અને બુધ્ધિને એટલી હદે દુષિત કર્યાં છે કે કોઈ પણ જાતનું ખોટું અને ઘૃણાજનક કામ કરવામાં એમને જરા સરખો ખચકાટ નથી થતો. પોતાની ફરજ અને જવાબદારીના વર્તુળમાં આવતાં કાર્યો માટે પણ લાંચ માંગવામાં શરમ નથી અનુભવાતી. લાંચ માંગવી એ જાણે જન્મસિધ્ધ હક હોય એવી હલકી વિચારધારાએ નીતિ-નિયમોને માત્ર ‘mission statements’ની ખીંટીએ ટાંગવા જેવા મૂલ્યો બનાવી દીધાં છે, જેમનું વાસ્તવિક વ્યવહારમાં કોઈ મૂલ્ય રહ્યું નથી.
આ મનોવૃત્તિ સમાજના બહોળા વર્ગમાં પ્રવર્તી રહી છે. શિક્ષણ ચરિત્ર-ઘડતરમાં મહત્વનો ફાળો આપતું હોવાનું મનાય છે. પણ ઘણા અઘટિત બનાવોમાં એવું પણ જોવા મળતું હોય છે કે શિક્ષિત અને અશિક્ષિત લોકોની માત્ર વાણીમાં તફાવત અનુભવાતો હોય છતાં આચાર-વિચારહલકી કક્ષાના જ હોયછે. અહીં શિક્ષણ નહીં પણ હલકી મનોવૃત્તિ વધુ ભાગ ભજવતી હોવાનું મહેસૂસ થાય છે. લોકો જે પણ પ્રવૃત્તિ, કામકાજ, વ્યવસાય અને વ્યવહાર કરતાં હોય, એમાંના ઘણા ખરા કાર્યક્ષેત્રમાં આ જાતનો સડો પ્રસરેલો દેખાય છે. જે એમનું નથી એના પર કબજો કરીને 'પોતાનું' કરી લેવામાં અમુક લોકો કોઈ પણ જાતનો સંકોચ નથી અનુભવતા. આવક ઓછી હોય, છતાં એમની સાધન-સંપત્તિ શ્રીમંતોની સમૃધ્ધિની હરોળમાં આવતી જાય છે. દરેક વ્યવહારમાં ‘મને શું મળશે?’ અથવા ‘આમાં મારું કેટલું?’ એવા પ્રશ્નોથી જ ચર્ચા-વિચારણા આગળ વધતી હોય છે. ભ્રષ્ટાચારે મઝા મૂકી છે.
એ એક સમય હતો જયારે પોતાની આવક, બચત અને 'ગુંજાઈશ'ને અનુલક્ષીને લોકો વસ્તુઓ અને સાધનો વસાવતા. મુખ્ય જરૂરિયાતની હોય છતાં, પોતાના બજેટ અને આવકમાં સમાવી શકવાની મર્યાદાની બહાર હોય એવી વસ્તુઓ અને સાધનો વસાવવા પહેલાં લોકો વિચાર કરતાં. એના વગર ચાલી શકે એવું નહીં હોય તો બીજી ઓછી જરૂરિયાતની વસ્તુઓપર કાપ મૂકતા. અનુભવ અને શાણપણ ધરાવતા વડીલો પાસે સાંભળેલી એક શિખામણ દરેક પરિવારના લોકોએ અવશ્ય સાંભળી હશે: "ચાદર જેટલી હોય એટલા જ પગ પ્રસારવા" અથવા, "આપણી ગુંજાઈશની બહાર વિસ્તાર નહીં કરવો." પણ આપણે સમજતા થઈએ પછી મનમાં એવું ભૂત સવાર થઈને બેઠું હોય છે કે ‘શિખામણ માત્ર બીજાઓને આપવા માટે જ હોય છે, આપણા જીવનમાં ઉતારવા માટે નહીં.' (અહીં એક વિદ્વાન અને આદરણીય લેખક, સદગત શ્રી જ્યોતીન્દ્ર દવેનું એક મહત્વનું વાક્ય ટાંકવા યોગ્ય લાગે છે: "આ જગતમાં જેટલી શિખામણો અપાય છે એટલી જ જો લેવાતી હોત તો જગત એ કક્ષાએ પહોંચ્યું હોત કે કોઈને કોઈ પણ જાતની શિખામણ આપવા કે લેવાની જરૂર રહી નહીં હોત").
વર્તમાન સમયમાં બહોળા માનવસમુદાયની વિચારધારા, જીવનશૈલી અને વ્યવહારની પ્રણાલી બદલાઈ છે. જીવનની જરૂરિયાત મુજબની ચીજ-વસ્તુઓ વસાવવા ઉપરાંત માર્કેટમાં આવેલી નવી વસ્તુઓ અથવા નવી શોધાયેલી વસ્તુઓમાંથી આપણને કઈ વધુ આકર્ષે છે એ વિચાર વધુ લોભામણો લાગે છે. પછી ભલે એવી વસ્તુઓની જરૂર હોય કે નહીં, તો પણ ‘આપણે સર્વ-સંપન્ન છીએ’ એ પૂરવાર કરવા લઈ આવીએ છીએ. આપણા મિત્ર મંડળમાં અથવા પાસ-પાડોશમા જે પ્રકારની સાધન-સામગ્રીદેખાતી હોય તે બધી આપણી પાસે હોવીજ જોઈએ એવી ઘેલછા હર સમય આપણા મનમાં છવાયેલી રહે છે. આ બધું આપણા બજેટમાં બંધ બેસતું ન હોય છતાં ખેંચાઈને પણ આપણે વસાવતા જઈએ છીએ.
એક વર્ગ એવો પણ છે જે બીજાઓની સરખામણીમાં ‘પોતે શ્રેષ્ઠ શ્રેણીમાં' છે એવા ભ્રમમાં જીવે છે. જે પોતાની પાસે હોય તે બીજા કોઈ પાસે નહીં હોવું જોઈએ. પોતાના ઘર ભવ્ય હોવાં જોઈએ, અદ્યતન સાધન-સામગ્રીઓથી સજ્જ હોવાં જોઈએ, તિજોરીઓ-લોકરો દાગીના-ઘરેણાંઓથી ભરેલાં હોવાં જોઈએ, ઘરમાં વાહનો હોવાં જોઈએ, પોતાના બાળકો સર્વ-શ્રેષ્ઠ શાળા-કોલેજોમાં ભણતા હોવા જોઈએ, સગાં-સ્નેહીઓમાં પોતાનું માન હોવું જોઈએ, 'પોતાનું એક આગવું અને મોભાદાર વ્યક્તિત્વ છે' એવી સર્વ-માન્ય ઓળખસમાજમાં પ્રસ્થાપિત થયેલી હોવી જોઈએ.
પોતાના આ દંભી વ્યક્તિત્વ વડે ઉપજાવેલાં અસ્તિત્વને ટકાવી રાખવાનું સાહજિક સંજોગોમાં સહેલું નથી હોતું. એ ટકાવી રાખવા બહુ ઝઝૂમવું પડે છે. માત્ર ઝઝૂમવું જ પર્યાપ્ત નથી, પણ સતત ઝઝૂમતા રહેવું પડતું હોય છે. સહુને જ બીજાઓથી આગળ આવવાની અને ઉપર ઊઠવાની લાલસા હોય છે. નિરંતર ચાલતી રહેતી આ હોડમાં પાછળ નહીં પડી જવાય એ ચિંતાને કારણે વ્યક્તિગત જીવનમાં, પોતાના સઘળા કાર્યક્ષેત્રના બધા પાસાઓમાં અને સામાજિક વ્યવહારમાં, જ્યાં પણ જરૂર જણાય ત્યાં 'ઊંધા-ચત્તાં' કરવા પડતાં હોય છે.
આવાં 'ઊંધા-ચત્તાં' ની વ્યાખ્યામાં આવતા બધા વિચારો, એમના મૂળમાં રહેલી મનોવૃત્તિ, એમને પાર પાડવા માટેના નિર્ણયો, યોજના અને કાર્યો, જે પોતાના લાભમાટે બીજાઓનું અહિત અને નુકસાન કરવામાં કારણભૂત થતાં હોય, એ શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને વર્ણવેલા 'વિકર્મ' ની શ્રેણીમાં બંધ બેસતાં થાય એવાં છે. બીજાઓનું નુકસાન કરવાના હેતુથી આચરેલા વિકર્મો જીવનમાંથી સંતોષ અને શાંતિ હણી લેનારા બને છે. જ્યાં સંતોષ ન હોય ત્યાં શાંતિ ટકતી નથી. અને જ્યાં શાંતિ નથી ત્યાં આનંદનું અસ્તિત્વ શક્ય નથી.
'આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?' એ શીર્ષક હેઠળ અનુબંધિત થયેલા આ લેખની શરૂઆત 'જીવનના ધ્યેય' થી થઈ હતી. અહીં, લેખના આ મુકામ ઉપર આવ્યા છીએ ત્યારે એક પ્રશ્ન સાહજિક રીતે જ મનમાં ઉભરે છે: "આપણે જીવી રહ્યા છીએ એ દેશ-કાળના સામાન્ય માનવ સમુદાયમાં જીવનના ધ્યેય આટલી નીચી કક્ષાએ ઉતર્યાં હોય તો આપણને મળેલા આ 'માનવ જીવનનો ઉદ્દેશ' શું હશે? આવાં જીવનની કોઈ સાર્થકતા ખરી?" આપણે જે હાનિકારક દિશામાં,અંત:કરણની આંખો બંધ કરીને, ગાડરિયા પ્રવાહ સાથે આગળ (?) વધી રહ્યા છીએ એ હકીકતમાં તો આપણને અધોગતિના માર્ગે જ દોરી જાય છે.દરેક જન્મમાં ‘મનની શુદ્ધિ, તેમ જ સાત્વિક કર્મો, નિ:સ્વાર્થ ભક્તિ અને જ્ઞાન દ્વારા આત્માની ઉન્નતિ' એ જીવનના મૂળભૂત ઉદ્દેશ હોય તો આપણે 'ઉન્નતિ' (ઉર્ધ્વગમન)ની દિશાને બદલે 'અધોગતિ'ની દિશામાં જઈ રહ્યા છીએ!
ધ્યેય વગરની આવી મુઆફરીમાં કઈંક કેટલાં જીવનો એળે ગયાં હશે અને હજી જતાં રહેતાં હશે. આપણા દેશમાં, બધી જ જાતિ, વર્ગ અને સમુદાયોમાં પ્રસંગોપાત ભજન-સંધ્યા, સત્સંગો, યોગાસનો અને આધ્યાત્મિક પ્રવચનો જેવાં પ્રોગ્રામો યોજાતાં રહે છે. ‘Google Maps’અથવા‘wi-fi’ની જરૂરિયાત વગરઈશ્વરનું સરનામું આપનારાંશ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, અને વેદાંત જેવાંજ્ઞાન-ગ્રન્થો; એ ઉપરાંત આત્મ-જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર આધ્યાત્મિક સંસ્થાઓ અને આશ્રમો સુંદર કામ કરી રહ્યાં છે. આવી સંસ્થાઓ અને આશ્રમો દ્વારા યોજાતા વર્ગો અને જ્ઞાન-શિબિરોમાં કેટલાં ય વર્ષોથી અસંખ્ય લોકો હાજરી પૂરાવતા રહ્યા છે. એ છતાં બહોળા માનવ સમુદાયમાં પ્રવર્તતી નિમ્ન મનોવૃત્તિ આપણને નિરાશાજનક અંધકારમાં જ ઊંડા ઉતારી રહી છે.
આ બધું જોયા, જાણ્યા અને અનુભવ્યા પછી રહી-રહીને એક જ પ્રશ્ન વણ-થંભ્યો ઉદ્ભવતો રહે છે: "આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?" આ પૃથ્વી ઉપર જન્મ લીધેલો ત્યારે આપણા આત્માએ ક્યાં જવાનું નિરધાર્યું હશે અને આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?
ચાલો, આપણે સહુ, આપણા અંત:કરણના ઊંડાણમાં ઉતરીને આ પ્રશ્નનું વિશ્લેષણ કરીએ અને નિરાકારણનો રસ્તો મળે તો એ માર્ગે આપણી મુસાફરી આગળ વધારીએ.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમગીનીઓ શાને ?
ભાગ 3
બસ, એટલે જ નાવ ડૂબાવી દીધી અમે,
જ્યાં પહોંચવું હતું ત્યાં કિનારા નથી રહ્યા.
મરણની બાદ પણ હું રાહમાં રઝળું નહીં બેફામ,
કબરમાં એથી સહુએ લાશને પૂરી હતી મારી.
નામાવલી માં થી નામ-શેષ થઇ રહેલાં નામો
અગાઉના સમયમાં લોકોના બોલવામાં અને વાતચીતમાં એકબીજાના સન્માન નો અને વિવેક ભાવનાનો વિશેષ ખ્યાલ રાખવામાં આવતો. આ વિવેક ભાવના જાળવવા નામ ની પાછળ ‘લાલ’, ‘રાય’, ‘કાંત’ અને ‘ચંદ્ર’ જેવા પૂર્તીકારક (suffix) શબ્દો વાપરવાની પ્રથા હતી.
કાવ્યોમાંથી વહે છે વ્યથાઓની નદીઓ શાને ?
ગઝલોમાંથી નીતરે છે ગમનગીનીઓ શાને ?
ભાગ ૧
એક ઉમદા ગઝલકારને એમની વિદાય પછી “હૃદય-સ્પર્શ” દ્વારા અપાયેલી આ શ્રધ્ધાંજલિ હૃદય-સ્પર્શી હોવા છતાં લાંબી હોઈને આ આખી કૃતિ બધું મળીને ૪ ભાગમાં આપ સહુ સમક્ષ રજુ થઇ રહી છે. આજથી શરુ કરીને બીજા ત્રણ દિવસોમાં આ શ્રુંખલા સમાપ્ત થશે. દરેક યુગમાં મહાન કલાકારો પૃથ્વી ઉપર અવતરતા રહે છે. એમના જીવનકાળ દરમ્યાન કળા ની, સાહિત્યની, માનવતાની સેવા કરીને તેઓ વિદાય લે છે. પણ એમના ઊંચા કર્મો દ્વારા એમણે પ્રસારેલી સેવાની સુગંધ અને પ્રગટાવેલી મશાલના અજવાળાં વર્ષો સુધી માનવ હૈયાંને પ્રકાશિત કરતાં રહે છે.
જીવનના આ રસ્તાઓ ....
જીવનના કદી ય નહીં અટકતા આ રસ્તાઓ પર આપણે ચાલતા રહીએ છીએ.
પણ ક્યાં લઇ જાય છે આ રસ્તાઓ?
ક્યારેક આ લાંબા રસ્તાઓ ઉપર, ક્યાંક થોભીને રડી લેવાનું મન થાય છે,
તો ક્યારેક થોડું હસી લેવાનું.
જાગો! સાંભળો! કોઈ આપણને પોકારી રહ્યું છે,
મનમાં ઘવાયેલી લાગણીઓ, સહન કરેલા અત્યાચારો જાણે બળવો પોકારી રહ્યા છે. મૌન ચિત્કારો જોર શોરથી પોકારી રહ્યા હોવાનો અહેસાસ થાય છે: “और नहीं, बस और नहीं, गमके प्याले और नहीं..” અને ત્યારે અંદરથી એક અવાજ ઉભરતો સંભળાય છે:
{{commentsModel.comment}}