ગીતા જયંતી - માગશર સુદ ૧૧ ૨૦૭૯
ભગવદ ગીતા અધ્યાય ૨, સાંખ્ય યોગ ભાગ ૨ શ્લોક ૧૧ થી શ્લોક ૧૫
શ્લોક ૧૧
श्री भगवानुवाच:
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः।।2.11।।
શ્રીમદ ભગવદ ગીતાના તત્વજ્ઞાનની શરૂઆત બીજા અધ્યાયના આ અગિયારમાં શ્લોકથી થાય છે. અર્જુનના હતાશા અને ભ્રમિત થયેલા મનમાંથી ઉઠેલા આશંકાપૂર્ણ વાક્યો સાંભળ્યા પછી ઈશ્વર જીવનને સ્પર્શતા જ્ઞાનસત્રની રજૂઆત આ વાક્યથી કરે છે:
“જેમને માટે શોક કરવો યોગ્ય નથી એવા લોકોનો તું શોક કરે છે અને ઉપરથી પંડિતની જેમ ડહાપણ ભરી વાતો કરે છે.”
અર્જુને પોતાના યુધ્ધ નહીં કરવાના હઠાગ્રહને પુષ્ટિ આપવા પૂજનીય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણનો સંદર્ભ આપ્યો હતો. આ એવા મહાત્માઓ હતા જેઓ સૂક્ષમ શરીર અને સ્થૂળ શરીર વચ્ચેનું અંતર સારી રીતે સમજતા હતા. જેમનો જન્મ થયો હોય એમના શરીરનો અંત પણ નક્કી જ હોય છે. શરીર અને આત્માના સંબંધ અંગેના આધ્યાત્મિક જ્ઞાનને પચાવી ચૂકેલા સ્નેહીઓ માટે અર્જુનનો શોક યોગ્ય નથી કારણ કે એમના જેવા જ્ઞાની લોકો જીવન-મરણ ની યથાર્થતા અને અનાર્થતાને સમજતા હોય છ. તેથી જન્મ-જીવન-મરણ ના કાળચક્રમાં પરોવાયેલા કોઈ પણ જીવ માટે એવો શોક અયોગ્ય છે જે ધર્મ-અધર્મ વચ્ચેનું યુધ્ધ અટકાવવામાં આડે આવતો હોય.
શ્લોક ૧૨
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्।।2.12।।
અહીં શ્રી કૃષ્ણ આત્માણા અસ્તિત્વની અવિરત ‘નિત્યતા’ અને સ્થૂળ શરીરની શંકા રહિત નશ્વરતા અંગેની સમજ આપતાં અર્જુનને કહે છે કે “એવો સમય ક્યારેય નહોતો જ્યારે હું પોતે નહોતો અથવા તું નહોતો અથવા કોઈ રાજવીઓ નહોતા. એ ઉપરાંત એવું પણ નથી કે હવે પછી, ભવિષ્યમાં આપણે સહુ નહીં હોઈશું. આપણા સહુ નું અસ્તિત્વ હમેશાં રહેશે.
કૃષ્ણ ભગવાન આ શ્લોક દ્વારા સમગ્ર માનવજાતને ‘આત્મા’ અંગેનું જ્ઞાન આપવા આ સંદેશ આપે છે કે મુખ્ય તત્વ ‘આત્મા’ છે, જેની સફર દેહ વિલય પછી આવનારા જન્મોમાં પણ અવિરત ચાલુ રહે છે, અટકતી નથી. પણ શરીરની સફર એક જીવનકાળ પૂરતી જ સીમિત હોય છે. જે જીવ શરીર ધારણ કરીને જન્મ લે છે એ શરીરનો અંત નિશ્ચિત છે. આ કારણથી પણ શરીરધારી માનવોના મૃત્યુ પાછળ શોક કરવો યોગ્ય નથી, પછી ભલે વિદાય લેનારાઓ આપણા સ્નેહીઓ કેમ ના હોય.
શરીર અને આત્માના વ્યાપક ગુણધર્મોનું વિવરણ કરતાં કૃષ્ણ ભગવાન અર્જુનને બહુ જ સરળ ભાષામાં આગળ સમજાવે છે.
શ્લોક ૧૩
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति।।2.13।।
‘દેહી’ શબ્દ શરીર ધારણ કરેલા આત્માઓ માટે વપરાય છે. બદલાતી ઋતુઓ ની જેમ દેહને પણ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા માં થી પસાર થવાનું હોય છે. પણ શરીર બાલ્યાવાસ્થા છોડીને યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે એના આત્માની અવસ્થા બદલાતી નથી. બાલ્યાવસ્થા છોડીને દેહી યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે આત્મા મરતો નથી અને યુવાવસ્થામાં થી વૃધ્ધાવસ્થામાં પ્રવેશે છે ત્યારે આત્મા જન્મ લેતો નથી; પણ એક જ અવસ્થામાં રહે છે. શરીરની ત્રણે અવસ્થાઓમાં શરીર માત્ર વિભિન્ન અવસ્થાઓના કપડાં જ બદલતું લાગે છે. આ જ રીતે શરીર વિલીન થતી વેળાએ આત્મા દેહાંતર કરીને એક શરીર છોડીને બીજા દેહમાં પ્રવેશે છે, જાણે એણે દેહરૂપી કપડાં બદલ્યા હોય. જેને ‘જીવનકાળ’ તરીકે સંબોધવામાં આવે છે તે માત્ર શરીરના જીવનની સીમા રેખા દર્શાવે છે, જ્યારે આત્માની મુસાફરી અનંત છે, સીમા રહિત છે. એ માત્ર શરીર રૂપી કપડાં બદલતું જાય છે. શરીરનું મૃત્યુ આત્માની સફરને અટકાવી શકતું નથી કારણ કે આત્માની સફર અમર્યાદિત છે, નિરંતર છે.
શ્લોક ૧૪
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत।।2.14।।
“હે અર્જુન, શરીરને, શરીરની ઈન્દ્રિયોને જે જડ પદાર્થો, એમનો સ્પર્શ ઠંડક, ઉષ્ણતા, સુખ, દુ:ખ, અનુકૂળતા અને પ્રતિકૂળતા, વગેરેનો અનુભવ કરાવે છે તે સઘળા લૌકિક મોહ અને શોક આપનારા તેમ જ અનિત્ય છે, કાયમી નથી, જેમની આવન-જાવન થતી રહે છે. તેથી એમનામાં હર્ષ અથવા વિષાદ કર્યા વગર એમને સહન કર”
શ્લોક ૧૫
ઉપરના શ્લોકની યથાર્થતા વર્ણવવા ઈશ્વર અર્જુનને નીચેનો શ્લોક કહે છે:
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।।
“ જે ધીર્યવાન મનુષ્યો સુખ-દુ:ખમાં સમતા જાળવી શકે છે, દુન્યવી પદાર્થો અને એમના સ્પર્શ વગેરેથી જેમને હર્ષ અથવા વિષાદ નથી થતો , સુખ અથવા દુ:ખ નથી ઉપજતાં એવા જ મનુષ્યો મોક્ષને પ્રાપ્ત કરી શકે છે”.
અધ્યાય ૨. સાંખ્ય યોગ ભાગ ૧
“માનવજાતમાં આ પૃથ્ચી ઉપર કોઈ પણ એવી વ્યક્તિ નથી જેને પોતાના જીવનકાળ દરમ્યાન નાની થી મોટી મુશ્કેલીઓમાંથી પસાર ન થવું પડ્યું હોય. આપણા ઉપર આવેલી મુશ્કેલીઓ અથવા આપત્તિઓનું નિવારણ કરી શકવામાં આપણે પોતાને અશક્તિમાન અથવા લાચાર સમજતા હોઈએ છીએ, કારણ કે એમાંથી રસ્તો કાઢવા માટેની આપણી માનસિક અને બૌધિક સૂઝ ટૂંકી પડતી હોય છે. આપણા વિચારો એટલી ઊંચાઈએ પહોચી નથી શકતા જ્યાંથી આપણે નિવારણ માટેના અલગ, અલગ વિકલ્પો જોઈ શકીએ અથવા વિચારી શકીએ. આનું કારણ આપણું અજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિમાન અથવા બાહોશ વ્યક્તિની બૌધિક સીમારેખાને પણ અમુક હદ હોય છે જેનાથી આગળ એની દ્રષ્ટિ અને વિશ્લેષણ શક્તિ પહોંચી નથી શકતી. જગતમાં માત્ર ઈશ્વર જ સર્વ ગુણ સંપન્ન,જ્ઞાની અને સર્વ-શક્તિમાન છે, જેની પાસે મનુષ્યલોક ના સઘળા જીવોની મુશ્કેલીઓના નિવારણની ચાવી છે. આ જ કારણથી ઈશ્વરની કરુણા, અને એમના આશીર્વાદ તથા માર્ગદર્શનની જીવનના હર પગલે આપણને જરૂર રહે છે. તો આપણે સહુ શ્રીમદ ભગવદ ગીતામાં વર્ણવેલા જ્ઞાનની પ્રસાદી લેતા રહીએ.”
“અર્જુનવિષાદયોગ”
મંગળ મૂર્તિ શ્રી ગણેશજીના આશીર્વાદ વગર કોઈ પણ માંગલિક અને આધ્યાત્મિક કાર્યની પરિપૂર્તિ સરળતાથી શક્ય બની શકે એ વાત શ્રધ્ધાળુઓ માનવા તૈયાર નથી. આજના શુભ દિવસે પણ, આપણે “અર્જુનવિષાદયોગ” સમજવા જઈ રહ્યા છીએ ત્યારે ગણેશજીએ આશીર્વાદ આપીને ઉપર પોતાનું સ્થાન સંભાળી લીધું છે. આવો, એમને સાષ્ટાંગ પ્રણામ કરીને આપણી આધ્યાત્મિક શ્રેણીની શ્રુંખલા શરુ કરીએ.
ભગવદ ગીતાના શ્લોકો ના રચયિતા વેદ વ્યાસ એક પછી એક શ્લોક બોલે જતા હતા. પણ રખે ને કોઈ અગત્યની વાત છૂટી ના જાય એ હેતુથી એમણે ભગવાન શ્રી ગણેશને વિનંતી કરેલી કે પોતે શ્લોક પછી શ્લોક બોલતા જાય તે બધા એક પછી એક લખતા જાય જેથી અનુસંધાન ક્યાંક તૂટી ના જાય. ગણેશજીએ વિનંતી તો સ્વીકારી પણ પોતાની એક શરત પણ મૂકી કે વેદ વ્યાસને કોઈ પણ બે શ્લોકો વચ્ચે વિચારવાનો સમય જાય તો પોતે ઉઠીને ચાલી જશે, કારણકે તેઓ પોતાની એક ક્ષણ પણ નકામી જવા દેવા નહોતા માંગતા. વેદ વ્યાસજી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એમણે શરત સ્વીકારી લીધી અને આ રીતે ભગવદ ગીતાના ૭૦૧ શ્લોકોનું લેખન કાર્ય સંપૂર્ણ થયેલું. વેદ વ્યાસજી ની બુદ્ધિમતા અને તિક્ષ્ણ ઉત્સ્ફૂરણ શક્તિ ને લાખ, લાખ વંદન. પણ ગણેશજી વગર આપણે સહુ ભગવદ ગીતાના પાઠ કરવાને આજે કદાચ અસમર્થ હોતે. આજે ૫૦૦૦ વર્ષો પછી પણ પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણએ સમજાવેલી ગીતા આપણને સહુને માનવ ધર્મનું ગૂઢ મહાત્મ્ય સમજાવી રહી છે.
{{commentsModel.comment}}